________________
‘હિન્દુ લોકોનું ભલું પૂછો ! મીરઝાં સાહેબ ! ગુમરાહ કોમ છે. ગાય જેવા જાનવરને મા, મા કરીને નથી ચુંબતો, એનો પેશાબ પવિત્ર સમજી નથી પીતા ? આ એવું !' બીજા અફઘાન સરદારે પોતાનું પાંડિત્ય પ્રગટ કર્યું.
આવી ચર્ચાઓ કરતા બંને સરદારો ખબર લઈ પાછા ફર્યા, પણ દરબારમાં જલદી જલદી કામ તમામ કરવાની તાલાવેલી હતી. શાહજાદાએ પોતાના કામની ખુશખબરી બાબાને પહોંચાડવા માટે બહાર દિલ્હી જવા કાસદો તૈયાર રાખ્યો હતો. બારી વાટે લીલી ઝંડો દેખાતાં તેમણે કૂચ કરી જવાની હતી. ‘વિગતવાર સમાચાર પાછળ આવશે, બાકી કામ તમામ થઈ ગયું.” એટલું બાદશાહને કહેવાનું હતું !
ફરી બીજા મોગલ સરદારને દુર્ગાદાસને તેડવા મોકલ્યો. પણ આજ ન જાણે, દુર્ગાદાસ પ્રભુનામસ્મરણની ધૂનમાં ચડી ગયા હતા. હજી રુદ્રી પૂરી થઈ નહોતી. આરતી-દીવો તો બાકી હતાં અને દરબારમાં હાજર થવાનો વખત તો થઈ ગયો હતો. બધા રાઠોડી સરદારો પ્રાતઃકર્મથી નિવૃત્ત થઈ, પોશાક પહેરી સજ્જ થઈ બેઠા હતા. દુર્ગાદાસના બે પુત્રો મેહકરણ ને અભયકરણ તથા વડા પુત્ર તેજ કરણનો પુત્ર અનુપસિંહ ભેટ બાંધી ખડા હતા, બીજા નામી રાઠોડ યોદ્ધાઓ પણ પરવારીને આવી ગયો હતો.
વાર ફક્ત રાવ દુર્ગાદાસની હતી. પણ એ આજ પ્રભુ નામસ્મરણમાં લયલીન થઈ ગયા હતા. એમાં દખલ કરવાની તાકાત કોઈની નહોતી.
મોગલ તેડાગીર વળી પાછો ગયો.
વળી બીજો સરદાર તેડે આવ્યો. આમ થોડી વારમાં ચાર છે તેડાં આવી ગયાં. જે આવતા એ મીઠી મીઠી જબાનમાં વાતો કરતા, રાવ દુર્ગાદાસને સાતમે આસમાને ચઢાવતા. રાઠોડોથી શેતાન પણ બાકરી બાંધતા ડરે, તો મોગલ કોણ, એમ કહેતા !
‘પણ દુર્ગાદાસ એ દિવસે જલદી પૂજામાંથી ઊડ્યા નહિ ! ને તેડાં પર તેડાં આવતાં થંભ્યાં નહિ !'
આખરે પૂજા પૂરી થઈ. રાવ દુર્ગાદાસ અર્ધવસ્ત્ર બહાર આવ્યા. રાઠોડ સરદારોએ કહ્યું :
આપ પૂજામાં હતા, ને આ તરફ કેટલાંય તેડાં આવી ગયાં !' ‘કેટલાં તેડાં ?” ‘લગભગ દશેક ! મોગલો આપના પર આફરીન છે !'
‘દશેક તેડાં આવી ગયાં ?” રાવ વિચારમાં પડી ગયા. થોડીવારે બોલ્યા : ‘ભાઈઓ ! એમાં ખુશ થવા જેવું નથી; નમન નમનમેં ફેર હૈ. આ ચિત્તાકમાન જેવો ઘાટ લાગે છે. આપણે કંઈ એમને ત્યાં તોરણે છબવા આવ્યા નથી, કે તેઓ આટલી
ઉતાવળ કરે ! સામાન્ય શિરસ્તો તો એવો છે, કે આપણે એમને દરવાજે જઈ કહેવરાવીએ ત્યારે કેટલીય વારે દરબારમાં હાજર થવાની મંજૂરી મળે.'
રાઠોડ સરદારોએ કહ્યું : “આલમગીર એ આલમગીર છે. કહેવું પડશે. શત્રુ ત્યારે શત્રુ. ઘા કરવામાં પાછો ન પડે. મિત્ર ત્યારે મિત્ર માન-સન્માનમાં બાકી ન રાખે. રાવજી ! આખું શહેર શણગાર્યું છે. સવારથી આખા શહેરમાં સેના ગોઠવી છે. અમલદાર પોતાના સ્થાને સલામી માટે ખડા છે. સહુને એક નજર ભરીને રાવજીને જોવા છે !'
શું બધે સશસ્ત્ર સૈનિકો ખડા છે ?” ‘જી હા, કારણ કે પછી શાહજાદો શિકારે ચડવાનો છે !'
દુર્ગાદાસ વળી ઊંડા વિચારમાં પડી ગયાં. પછી બોલ્યા : “બહાદુરો ! મારી શંકા સાચી લાગે છે. મને તો આ બધું ચિત્તાકમાન જેવું ભાસે છે. આ તેડાં યમરાજાનાં છે. ને શાહજાદો આજે શિકાર આપણો કરવાનો છે. ઝટ ચેતો ! લાવો મારો પોશાક ! ઘોડાં સાબદાં કરો, ને ચાલી નીકળો. આપણી સ્થાન ભણી !'
“પણ આપ પારણું તો કરી લો.’ રાઠોડ સરદારોને દુર્ગાદાસનું શંકિત વલણ ન ગમ્યું. પણ શિસ્ત એવી હતી કે મોતમાં દોરે તો સહુ જાય. જરા ધીરજથી વિચાર કરી શકાય એ માટે તેઓએ પારણાની વાત આડે ધરી હતી.
- ‘આજ ખાવા રહીશું તો કોણ કોને ખાશે એની સમજ નહિ પડે ! હવે તો જ્યાં એકાદશીનાં પારણાં કરવાં લખ્યાં હશે, ત્યાં થશે . ચાલી નીકળો, ભાઈઓ ! રાઠોડોને ઘેરીને બાંધી લેવાનો કારસો રચાયો છે. એક એક પળ કિંમતી જાય છે. પછી આ ધરતીને લાખેણા ભોગ ધરવા પડશે.”
રાઠોડો કંઈ ન સમજ્યા, પણ તેઓને એટલી સમજ હતી કે રાવ દુર્ગાદાસ કહે એમ કરવું ! થોડીવારમાં તંબૂઓમાં આગ લાગી. થોડી હોહા થઈ રહી. રાઠોડો પોતાના ઘોડા પર સવાર થઈ પવન વેગે વહેતા થઈ ગયા !
આ તરફ દરબાર ભરીને બેઠેલો શાહજાદો દુર્ગાદાસની આટલી ઢીલાશથી ઉગ્ર થઈ ગયો. હવે એની ધીરજ તૂટી, એણે હુકમ કર્યો ‘રાવ દુર્ગાને જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં હાજર કરો ! આ તે મુલાકાત કે મશ્કરી ?
સિપાઈઓ રાવજીને પકડવા ધસ્યા, પણ જઈને જુએ તો નવો તમાસો ! આખો પડવા આગમાં ઝડપાઈ ગયેલો. તંબૂઓ દિવાળીના દારૂખાનાની જેમ ભડભડ સળગે. મોગલ દરબારના તેડાગરો હસ્યા ને બોલ્યા :
‘મોત આવે એને કોણ બચાવે ? રાવ દુર્ગા સફદરજંગ બાબીની તલવાર નીચે ન કપાણા, તો જીવતા મરઘાની જેમ આગમાં ભૂંજાણા ! યા અલ્લા !?
132 D બૂરો દેવળ
દુર્ગાદાસની એકાદશી 1 133