SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મકલ્યાણના ઉજ્વળ પંથે અંતે માતા અને પુત્રીના જીવનમાં સંસારત્યાગની એ અનુપમ ઘડી આવી. સંસારને પેલે પાર અધ્યાત્મના જગતમાં જવા માટે એમણે વિરાટ પગલું ભર્યું. દીક્ષાનો એ શુભકલ્યાણકારી વિરલ દિવસ હતો વિ. સં. ૧૯૯૫ની માગશર વદિ દશમ અને બુધવારનો. ઉત્તર ભારતમાં આને પોષ વદિ દશમ કહેવામાં આવે છે. જિંદગીમાં દિવસો, મહિનાઓ અને વર્ષો વીતે છે, પરંતુ એમાં કોઈ એવો અપૂર્વ દિવસ આવે છે કે જે દિવસે આત્મબળનું તેજ પ્રગટવાની અનુપમ ક્ષણ સાંપડે છે. પૂર્વજન્મના પુણ્યને પરિણામે દીક્ષામાર્ગમાં સુદૃઢ બનીને સંયમના માર્ગે પ્રયાણ થાય છે. સંસાર વેગળો થતો જાય છે અને સંયમ પ્રબળ થતો જાય છે. વ્યવહારનાં સુખદુ:ખ વીસરાઈ જાય છે, ભૂતકાળની વેદના જીવનમાર્ગમાંથી વહી જાય છે, બાજુએ ખસી જાય છે. મનમાં એક જ વિચાર જાગે છે અને તે એ કે ભવોભવનું આ ભ્રમણ બંધ થાય અને મોક્ષ પ્રતિ ગતિ થાય. આ સમયે સાધ્વીશ્રી શીલવતીજીના ચિત્તમાં આત્મા અને કર્મના સંવાદની વાતો યાદ આવે છે, ગુરુદેવનાં વચનોનું સ્મરણ થાય છે અને એ વિચારે છે – | ‘સંસાર કેવું વિચિત્ર નાટક છે ! કર્મરાજા કોઈને રાજા, તો કોઈને રંક બનાવે છે. આ કર્મરાજાએ સ્વ-જીવનમાં એક પછી એક કેવા પ્રહાર કર્યા છે ! પણ હવે આઠ પ્રકારનાં કર્મ આત્મકલ્યાણના ઉજ્જવળ પંથે અને એની એકસો અઠ્ઠાવન પ્રકૃતિનું સ્વરૂપ હું જાણી ગઈ છું. સત્ય દેવ, સાચા ગુરુ અને સત્ય ધર્મનું મને સમ્યક્જ્ઞાન થયું છે. ગમે તેવા સંજોગોમાં પણ સમ્યદૃષ્ટિ રાખીશ અને પુણ્યકર્મના યોગે કીર્તિ, યશ ભોગવાય છે અને પાપના યોગે નિંદા, અપકીર્તિ થાય છે, તેથી બંનેને કર્મના વિપાક સમજી તેમાં સમભાવે વર્તીશ.’ આ રીતે સાધ્વીશ્રી શીલવતીજી પોતાની પુત્રી સાથે સંયમના માર્ગે નવપ્રયાણ આદરે છે. એ દિવસે તીર્થાધિરાજ શત્રુંજયની પાવન તળેટીમાં દીક્ષા લઈને માતા શિવકુંવર સાધ્વીશ્રી શીલવતીજી બન્યાં અને પુત્રી ભાનુમતી એમનાં શિષ્યા સાધ્વીશ્રી મૃગાવતીજી બન્યાં. સાંસારિક સંબંધોની સમાપ્તિ થઈ. હવે પ્રભુના માર્ગના યાત્રીના નૂતન સંબંધોનો પ્રારંભ થયો. દીક્ષાના સમયે માતા શિવકુંવરની ઉંમર ૪૪ વર્ષની હતી અને ભાનુમતીની વય માત્ર બાર વર્ષ અને આઠ મહિનાની હતી. દીક્ષા પૂર્વે પંચ પ્રતિક્રમણ, ગુજરાતીનું પાંચમું અને અંગ્રેજીનું પ્રથમ ધોરણ ઉત્તીર્ણ કર્યું હતું. દીક્ષા બાદ સાધ્વીશ્રી મૃગાવતીજીએ સાત મરણ ભક્તામર અને કલ્યાણમંદિર સિવાય) કંઠસ્થ કર્યો, સાધુક્રિયા અને આગમગ્રંથ “શ્રી દશવૈકાલિક સૂત્ર'નાં ચાર અધ્યયન વગેરેનો સ્વાધ્યાય કર્યો. આગમગ્રંથ “શ્રી દશવૈકાલિક’ની કેટલીય ગાથાઓ એમના ચિત્તમાં તરવરી રહેતી. "ते देहवासं असुंई असासयं, सया चए निच्चहियट्टियप्पा । छिदित्तु जाइमरणस्स बंधणं, उबेड़ भिक्खू अपुणागमं गई ।।' (પોતાના આત્માનું નિત્ય હિત કરવામાં સ્થિર ભિક્ષુ, અપવિત્ર અને ક્ષણભંગુર શરીરમાં નિવાસ કરવાનું નિત્ય માટે ત્યાગી દે છે તથા બંધનરૂપ જન્મ-મરણના ફેરાને કાપી નાખીને નિત્ય માટે મોક્ષને પ્રાપ્ત થાય છે.) એમની વડી દીક્ષા સાડા ચાર મહિના બાદ વૈશાખ સુદ ૫, વિ. સં. ૧૯૯૫ (ઈ. સ. ૧૯૩૯)માં પાવન શત્રુંજય તીર્થની છાયામાં પાલીતાણાની ચંપાનિવાસ ધર્મશાળામાં થઈ. સાધ્વીશ્રી શીલવતીજી અને સાધ્વીશ્રી મૃગાવતીજીના હૃદયમાં અપાર ઉલ્લાસ હતો અને વિચારતાં હતાં કે આ કેવો સુયોગ કહેવાય કે પ્રથમ
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy