________________
પ્રસ્તાવના
ઑલ ઇન્ડિયા રેડિયોએ ગાંધી શતાબ્દી, અન્ય કાર્યક્રમો ઉપરાંત ચૌદ રેડિયો-રૂપકો રજૂ કરી ઊજવી હતી, એમ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની શતાબ્દી, બીજા કાર્યક્રમો ઉપરાંત આ બાર રૂપકો રજૂ કરી ઊજવી.
સરદાર સાહેબના જીવનમાં ઘણી ઘણી ઘટનાઓ બની, એમાંથી કેટલીક બહુ નહીં જાણીતી એવી અને એ ધર્મપરાયણ, સુકોમળ હૃદયની વ્યક્તિ હતી, એ એમના જીવનનું પાસું પણ મોટે ભાગે અજાણ, તે સાકાર થાય એ હેતુથી બાકીની ઘટનાઓ બાર રૂપકોમાં વણી છે. એ લોખંડી પુરુષ અને બિસ્માર્ક જેવા હતા, એ અયોગ્ય અને અણછાજતાં વિશેષણોને નકાર્યાં છે, અને છતાં એમની સળંગ જીવનકથાને કડીબદ્ધ આવરી લેવામાં આવી છે.
મારા એ બે સંજોગોમાં હાકેમ એક બારડોલી સત્યાગ્રહ સમયે બારડોલીમાં, પછી મુંબઈમાં કૉંગ્રેસ પત્રિકાના સંચાલનમાં અમારી નાનકડી, મીઠી ભેરુબંધ ટોળીના રાહબર, અને પછી ઑલ ઇન્ડિયા રેડિયોમાં હું નોકરી કરતો હતો,
ત્યારે બ્રૉડકાસ્ટિંગ ખાતાના એ અમારા મિનિસ્ટર–એમ વીસ બાવીસ વર્ષમાં એમની નિકટમાં આવવાનો પરિચય; એમાં અમે ક્યાંય એમને ક્રૂર, કડક કે લોખંડી હૃદયની વ્યક્તિ તરીકે જોયા-જાણ્યા નથી. વાત્સલ્ય જ પ્રમાણ્યું છે. એમનો ધર્મગ્રંથોમાં ભક્તિભાવ અને એમની ઈશ્વરમાં અથાગ શ્રદ્ધા, એમના પત્રોમાં તેમજ જેલ દરમિયાનની નોંધોમાંથી જાણવા મળે છે. આવી એક
વ્યક્તિને આ રીતે અંજલિ આપવાની મને તક મળી એ માટે હું મારી જાતને ધન્ય માનું છું. એવી તક આપવા માટે આકાશવાણીના અધિકારીઓનો હું આભાર માનું છું. આ પ્રગટ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ શતાબ્દી સમિતિનો પણ હું અત્યંત આભારી છું.
શાળાઓમાં આમાંથી મોટા ભાગનાં રૂપકો ભજવી શકાય એવાં છે. જેમને એ ભજવવાં હોય એમને મારી રજા લેવાની જરૂર નથી, એટલે ભજવશે તો સરદાર સાહેબને કંઈક ન્યાય મળશે.
ડિસેમ્બર, ૧૯૭૫
– ચન્દ્રવદન મહેતા
રાષ્ટ્રનિષ્ઠ અને કર્મનિષ્ઠ સરદાર
નવભારતના ભાગ્યવિધાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની સર્વતોભદ્ર પ્રતિભાને દર્શાવતાં આ બાર રૂપકો એમના જીવનનાં અનેક પાસાંઓને પ્રગટ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલને ગળથૂથીમાં કેવા સંસ્કારો મળ્યા હતા તે ‘શેતરંજનો દાવ’ એ પ્રથમ રૂપકમાં દર્શાવ્યું છે. એમાં વલ્લભભાઈના પિતા ઝવેરભાઈનું સ્વતંત્રતા માટે ઝઝુમનારા વિચક્ષણ માનવી તરીકેનું પાસું પ્રગટ થયું છે.
સરદાર પટેલના જીવનને બાવીસ વર્ષ સુધી નજીક રહીને જોનારા સમર્થ નાટ્યપુરુષ ચન્દ્રવદન મહેતા દ્વારા આ રૂપકો આલેખાયાં છે. ઈ. સ. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં શ્રી ચન્દ્રવદન મહેતાએ કાર્ય કર્યું. એ પછી એમણે આઝાદીની ચળવળ સમયે ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લઈને કૉંગ્રેસ બુલેટિનોનું પ્રકાશન કર્યું હતું. આ ચળવળનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલ સંભાળતા હતા. એ પછી ઑલ ઇન્ડિયા રેડિયોમાં શ્રી ચન્દ્રવદન મહેતા કામ કરતા હતા ત્યારે ભારત સરકારના પ્રસારણ મંત્રી તરીકે શ્રી વલ્લભભાઈ પટેલ હતા. આમ ચન્દ્રવદન મહેતાને વલ્લભભાઈની પ્રતિભાનો નિકટનો અનુભવ હતો અને એમણે સરદાર વલ્લભભાઈ પટેલમાં રહેલી આંતરસૂઝ, રાજકારણને પણ ધર્મકાર્ય માનવાની એમની વૃત્તિ તથા એમની આત્મસમૃદ્ધિ પ્રત્યક્ષ નિહાળી. સરદાર વલ્લભભાઈના વ્યક્તિત્વનાં શ્રી ચન્દ્રવદન મહેતાએ અનુભવેલાં પાસાંઓ આમાં આલેખ્યાં છે. ઈશ્વરમાં અગાધ શ્રદ્ધા, પીડિતો માટેની સંવેદના, એમનું વાત્સલ્યપૂર્ણ હૃદય, દેશને માટે કરેલો ત્યાગ આ બધી બાબતોને સચોટ સંવાદયુક્ત રૂપકો દ્વારા દર્શાવી છે.
-
સરદાર વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ ભક્તિપરાયણ, નિષ્ઠાવાન અને બીજાને મદદ કરવા તત્પર વ્યક્તિ હતા. એમણે ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ ભાગ લીધો હતો અને હોલ્કર રાજ્યના એ કેદી બન્યા હતા. હોલ્ડરના રાજવી શતરંજમાં ખોટી ચાલ ચાલતા હતા ત્યારે ખરી ચાલ ઝવેરભાઈએ સૂચવી હતી અને તેથી એમને કેદમાંથી મુક્તિ મળી હતી. આ પ્રસંગને પ્રથમ રૂપકમાં વણી લેવામાં આવ્યો છે. વાળાના જીવડા કાઢતાં કે
5