SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રભુ ગુન ધ્યાન વિચર ભ્રમ ભૂલા, કરે કિરિયા સો રાને રૂના." જ્યારે આનંદઘન પણ આવી જડ ક્રિયાનો વિરોધ કરતાં કહે છે : “નિજ સરૂપ જે કિરિયા સાધિઇ, તે અધ્યાતમ લહીઇ રે, જે કિરિયા કરિ ચોગતિ સાધઇ, તે અનધ્યાતમ કહીયે રે.” (સ્તવન : ૧૧, ગાથા : ૩) આ સાધકો તો સંસારથી ઊફરા ચાલતા હતા. આનંદઘનજીએ ચાર ગતિરૂપ ચોપાટની એક સુંદર કલ્પના કરી છે. આમાં ચેતન પોતે રાગ, દ્વેષ અને મોહનાં પાસાં પોતાને હિતકર છે એમ માનીને, આ ચોપાટ ખેલે છે, પણ પારકી આશા સદા નકામી છે. આનંદઘન તો સ્પષ્ટ કહે છે કે, “આશા ઓરનકી ક્યા કીજે ? જ્ઞાન સુધારસ પીજે.” એ જ રીતે શ્રી યશોવિજયજી ‘જ્ઞાનસાર’ના બારમા ‘નિઃસ્પૃહાષ્ટકમાં લખે છે : “પોતાના સ્વભાવ નિજ ગુણ-ની પ્રાપ્તિ ઉપરાંત બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય નથી તેથી આત્મઐશ્વર્યથી સંપન્ન મહામુનિ તદ્દન નિઃસ્પૃહ થઈ જાય છે. બિચારાં પારકી આશાવાળાં પ્રાણીઓ હાથ જોડીજોડીને પ્રાર્થના કરે છે, ઘેર ઘેર ભિક્ષા માગે છે, પરંતુ અનંત જ્ઞાનપાત્ર પ્રાણી તો આખા જગતને તણખલા તુલ્ય જુએ છે.” આનંદઘનજી ઋષભ જિન સ્તવનમાં પ્રીતમ ઋષભ જિનેશ્વર સાથે પ્રીતિસગાઈ થઈ હોવાથી એને જગતની સોપાધિક પ્રીતિ પસંદ નથી. એ જ રીતે ઉપાધ્યાય યશોવિજયજી શ્રી શાંતિનાથ જિન સ્તવનમાં કહે છે : “જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજો રે રસ તેહને મન નવિ ગમે જી, ચાખ્યો રે જેણે અમી લવલેશ, બાકસ બુકસ નસ ન રુચે કીમે જી.” માત્ર વેશ પહેરે સાધુ થવાતું નથી. જે ખરો આત્મજ્ઞાની છે એ જ સાચો સાધુ છે. આનંદઘનજી શ્રી વાસુપૂજ્ય જિન સ્તવનની છઠ્ઠી ગાથામાં કહે છે કે જે આત્મજ્ઞાની નથી તે માત્ર વેશધારી છે. બાહ્ય દૃષ્ટિએ મુંડન કરાવ્યું એથી કાંઈ વળે નહીં. અંતરનો આત્મા ગુણોથી સમૃદ્ધ થવો જોઈએ. આવી જ રીતે આનંદઘનજીની માફક યશોવિજયજી પણ કહે છે : “મુંડ મુંડાવત સબ હી ગડરીઆ, હરિણ રોઝ બન ધામ, જટાધાર વટ ભસ્મ લગાવત, રાસભ સહતું હું ધામ. મહાયોગી આનંદઘન 154 અંતે પર નહિ યોગ કી રચના, જો નહિ મન વિશ્રામ, ચિત અંતર પટ છલવેનું ચિતવત, કહા જપત મુખરામ, જબ લગ આવે નહિ મન ઠામ.૧૦ ઉપાધ્યાય યશોવિજયજી તો આત્મદર્શનનું સ્વરૂપ ગુરુકૃપાથી પ્રાપ્ત કરે છે. આ અંગે વિ. સં. ૧૭૩૮ પછી રચેલા ‘શ્રીપાલ રાસ'ના ચોથા ખંડના છેવટના ભાગમાં તેઓ કહે છે : “માહરે તો ગુરુ ચરણ પસાયૅ અનુભવ દિલમાં પેઠો, ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમ-રતિ હુઈ બેઠો.” જ્યારે આત્મામાં સમક્તિનો રવિ ઝળહળે છે, ત્યારે ભ્રમરૂપી તિમિર નાસી જાય છે અને અંતરમાં અનુભવગુણ આવે છે. આ સમયે ઉપાધ્યાય યશોવિજયજી કહે છે ઃ “ધ્યાયો સહી પાયો રસ, અનુભવ જાગ્યો જસ; મિટ ગયો ભ્રમકો મસ, ધ્યાતા ધ્યેય સમાયો છે, પ્રગટ ભયો પ્રકાશ, જ્ઞાનકો મહા ઉલ્લાસ; એસો મુનિરાજ-તાજ, જસ પ્રભુ છાયો હૈ..." ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય છે, ત્યારે કેવી અપૂર્વ આનંદાનુભૂતિ થાય છે ! આત્મામાં પરમાત્મા પ્રગટે છે, તે સમયની દશાને પ્રગટ કરતાં યોગી આનંદઘન બોલી ઊઠે છે : “અહો હું અહીં હું મુઝનેં કહું, નમો મુઝ નમો મુઝ રે." (સ્તવન : ૧૬, ગાથા : ૧૩) ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની માફક પદો પણ લખ્યાં છે અને તેમાં ચેતનને ‘મોહકો સંગ' નિવારી ‘જ્ઞાનસુધારસ' ધારણ કરવાનું કહ્યું છે. એ જ રીતે ‘કબ ઘર ચેતન આવેંગે'માં ઉપાધ્યાય યશોવિજયજીએ સુમતિનો વિરહ આલેખ્યો છે. આનંદઘનનાં પદોમાં તો આ સુમતિના વિરહનું વેધક આલેખન મળે છે. એમાં તો કવિ કહે છે કે સુમતિ દુઃખમંદિરના ઝરૂખે આંખો લગાડી-લગાડીને ઝૂકીઝૂકીને જુએ છે. વિરહદશારૂપ સાપણ તેના પ્રાણવાયુને પી જાય છે અને એથીય વધુ વિરહની વિકટ વેદના દર્શાવતાં સુમતિ કહે છે “શીતલ પંખા કુમ કુમા, ચંદન કહા લાવે હો ? અનલ વિરહાનલ ય હું તન તાપ બઢાવે હો.૧૨ આનંદધન અને યશોવિજય 155
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy