SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળખ આપે છે. આ અધ્યાત્મી તે આત્મસ્વરૂપમાં રમણા કરીને અહર્નિશ આત્મતત્ત્વનું ચિંતન કરતો હોય છે. એનામાં સતત આત્મસ્વરૂપને સાધવાની પ્રક્રિયા ચાલતી હોય છે. નામઅધ્યાત્મ, સ્થાપનાઅધ્યાત્મ અને દ્રવ્યઅધ્યાત્મનો કવિ વિરોધ કરે છે. કોઈ અધ્યાત્મના નામનું સતત રટણ કરે, કોઈ અધ્યાત્મની સ્થાપના કરે અને કોઈ દ્રવ્યઅધ્યાત્મીઓ ક્રિયાકાંડ કરે, પણ આત્માને ન જાણે તે કેમ ચાલે ? આ ત્રણેનો વિરોધ કરીને આનંદઘન ભાવઅધ્યાત્મનો આદર કરે છે. આત્મસ્વરૂપનું જ ધ્યાન ધરનારને સાચો અધ્યાત્મ જાણવો. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવનમાં આત્માને બરાબર ઓળખી, પુદ્ગલો સાથેનો ક્ષણિક અને અસ્થાયી સંબંધ છોડી દઈ અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં લીન થઈ આત્માનંદને માણવાનું કવિ કહે છે. આ બારમા સ્તવનમાં અનેક જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી આત્મવિચારણા કરવામાં આવી છે. વિષયકષાયની મંદતા કરવી, પરિણતિની નિર્મળતા રાખવી અને એ રીતે નિષ્કર્મી થવાનો આદર્શ રાખવા કવિ કહે છે. વ્યક્તિના વેશને અને એના આત્મજ્ઞાનને સંબંધ હોતો નથી. આનંદઘન તો સ્પષ્ટપણે કહે છે કે જે સાચો આત્મજ્ઞાની છે એ જ શ્રમણ છે, બાકી બધા તો માત્ર વિશધારી છે ! અધ્યાત્મમાર્ગનાં ગૂઢ રહસ્યોને એક પછી એક પ્રગટ કરનાર આનંદઘનજી શ્રી વિમલ જિન સ્તવનમાં પ્રભુભક્તિની છોળો ઉડાડે છે. તત્ત્વજ્ઞાનને બદલે પરમાત્માની ભક્તિનું આલેખન કરતાં કવિનું હૃદય ઉમંગ અને ઉલ્લાસથી ઊછળે છે. પ્રભુ સાથે એકતા સધાય ત્યારે કેવો અનુપમ આનંદ સાંપડે છે ! જે મસ્તીનું ગાન આનંદઘનનાં પદોમાં મળે છે, એ જ મસ્તીનો અણસાર આ સ્તવનમાં સાંપડે છે. જિનવરનાં દર્શન થતાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર થયાં અને આત્મિક સુખ અને અવિનાશી સંપત્તિનો મેળાપ થયો. પોતે ધીંગો ધણી પામ્યા હોવાથી આનંદનો કોઈ પાર નથી. એના દર્શનમાત્રથી જ કોઈ સંશય રહેતો નથી. અનુપમ એવી અમીભરી એની મૂર્તિ રચી છે; અને એને નીરખ્યા જ કરું છું, પણ તૃપ્તિ થતી નથી. કવિ અંતે જિનદેવને અરજ કરે છે કે કૃપા કરીને મને આપની સેવાભક્તિ નિરંતર મળે એવું કરજો . તલવારની ધાર પર નાચવું મુશ્કેલ જણાય છે, પરંતુ જિનેશ્વરની સેવા તો એવી કપરી છે કે એની આગળ તલવારની ધાર પર નાચવું સરળ લાગે. જડ ક્રિયાવાદીઓ સાચી સમજના અભાવે ચાર ગતિમાં ભમ્યા કરે છે. કેટલાક ગચ્છના ભેદોમાં એટલું મમત્વ રાખતા હોય છે કે તત્ત્વને ભૂલી ગયા હોય છે. સાચી સેવા માટે સમ્યકત્વ ધારણ કરવું પડે. દેવ, ગુરુ અને ધર્મની પ્રતીતિ મેળવવી પડે, સૂત્ર અનુસાર ક્રિયા કરવી જોઈએ. સાપેક્ષ વચન બોલવું જોઈએ. આમ થાય તો જ મહાયોગી આનંદઘન પરમાત્માની સાચી સેવા થાય. જડ ક્રિયા, ગચ્છના ભેદ, નિરપેક્ષ વચન અને સૂત્રથી વિપરીત ભાષણમાં જો સાધક ફસાઈ જાય, તો એની સઘળી ક્રિયા છાર પર લીંપણ જેવી નકામી છે. શ્રી ધર્મનાથ જિન સ્તવનમાં આનંદઘનજી કહે છે કે મારી તો જિનેશ્વર સાથે અતૂટ પ્રીતિ છે. રાતદિવસ એનાં ગુણગાનમાં હું મસ્ત છું. આખી દુનિયા ધર્મની વાતો કરે છે, પણ સાચા ધર્મને જાણતી નથી. જે ધર્મ જિનેશ્વરનાં ચરણની સેવા કરે છે એ માનવી કર્મથી લેવાતો નથી અને એથી સધર્મની અને પ્રાપ્તિ થાય છે. જે પુદ્ગલને ઓળખે છે અને આત્માને જાણતો નથી, એને વળી ધર્મની ક્યાંથી ખબર પડે ? જો એ જ્ઞાનરૂપી આંજણ આંજે તો જ એને મહામૂલ્યવાન ખજાનો દેખાઈ શકે , મનની જેટલી દોડ હતી એટલે હું દોડ્યો પણ મારા અંતરને ઓળખવાનું હું ભૂલી ગયો. જ્ઞાનના પ્રકાશ વિના આંધળાની પાછળ આંધળો ચાલે એવી દશા થઈ છે. આથી ભ્રમર પેઠે ઠેર ઠેર ભમવાને બદલે સાચું જ્ઞાન મેળવીને સ્થિર ચિત્તે પ્રભુપૂજન કરવાનો આનંદઘનજીએ ઉપદેશ આપ્યો છે. શ્રી શાંતિનાથ પ્રભુ પાસે કવિ આનંદઘન શાંતિ-સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા દાખવે છે. અહીં કવિએ ખૂબ જ સંક્ષેપમાં શાંતિસ્વરૂપનું વર્ણન કર્યું છે. આગમોમાં આ શાંતિસ્વરૂપનું વર્ણન વિસ્તારથી આપવામાં આવ્યું છે. કવિ આનંદઘન અહીં માત્ર નવ ગાથામાં (ત્રીજીથી અગિયારમી ગાથામાં) આ વર્ણન આપે છે. શાંતિને શોધતો માનવી, એજ્ઞાનને કારણે અશાંતિથી પીડાય છે, ત્યારે સાચા શાંતિસ્વરૂપની પ્રથમ શરત એ શાસ્ત્રવચનો પર શ્રદ્ધા છે. પ્રભુએ ભાખેલાં છ દ્રવ્યોનો વિચાર, નવ તત્ત્વોનો અને અઢાર પાપસ્થાનકનો વિચાર એ બરાબર જાણતો હોવો જોઈએ. શાંતિસ્વરૂપ પામવાની બીજી શરત એ આગમને ધારણ કરનારા યોગ્ય ગુરુ મેળવવાની છે. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ આદરે એટલે આપોઆપ આત્મામાંથી સાત્ત્વિકતાની ફોરમ પ્રગટવાની જ. શાંતિ-ચાહકનું ચરિત્ર વર્ણવતાં આનંદઘન કહે છે કે એ દૃઢ આસ્થાવાન હોવો જોઈએ. જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓને સમજનાર અને સમજાવનાર હોવો જોઈએ. દુર્જનોની સંગતિ ત્યજીને સારા ગુરુઓની પરંપરાને સેવનારો હોવો જોઈએ. એના ચિત્તમાં યોગનો ભાવ હોય, માન-અપમાન કે વંદકનિંદક એને સરખાં જ લાગતાં હોય, મોક્ષ અને સંસારને એકસરખા નિસ્પૃહભાવે જોતો હોય અને એ આત્મસ્વભાવમાં રમણ કરનારો હોવો જોઈએ. જીવનના સઘળા સાથે સંયોગથી થયા છે. સાચો સાથ તો તારી આત્મિક શક્તિનો છે એમ માનનારો હોવો જોઈએ અને જ્યારે શાંતિસ્વરૂપનો આત્મસાક્ષાત્કાર થશે ત્યારે હું જ મારા અંતરાત્માને નમન કરતો હોઈશ. કેવી નવાઈભરી ઘટના ! અંતરાત્મા જ્યારે પરંપરા અને આનંદઘન 93
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy