________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૬
૨૫૧ માયા એ ભયંકર પાપ છે એમ સમજીને તેનો ત્યાગ કરવો જોઈએ. છેતરપિંડી, વિશ્વાસઘાત, લુચ્ચાઈ અને કુડકપટ ઈત્યાદિ માયા સ્વરૂપ દોષોના જીવનમાંથી ત્યાગ કરવાથી આર્જવ ધર્મ આવે છે.
(૪) શૌચઃ- પવિત્રતા, લોભનો ત્યાગ, ઈચ્છાઓનું વિરમણ. જ્યારે જ્યારે કોઈપણ વસ્તુ ઉપર આસક્તિ કે મમતા થાય છે ત્યારે તેની પ્રાપ્તિ માટે, પ્રાપ્ત થયેલી વસ્તુના સંરક્ષણ માટે અને તેનો વિયોગ ન થાય તે માટે આ જીવ માયા-કપટ અને જુઠ સેવે છે. મન સદા ગડમથલમાં મેલું અને અપવિત્ર રહે છે. તેથી આસક્તિનો ત્યાગ તે શૌચ કહેવાય છે. જેને આસક્તિ કે મમત્વ નથી તેનું મન વધારે પવિત્ર હોય છે.
ધનના ત્યાગીને ધાર્મિક ઉપકરણો ઉપર અને માન-મોભા તેમજ યશ ઉપર જે ઈચ્છાઓ છે તે પણ લોભ છે. તેનો ત્યાગ થાય તો જ મન પવિત્ર અને શૌચ ધર્મવાળું બને. નિર્ધન અને હીનધનવાળાને પણ ઈચ્છાઓ આકાશ સમાન અનંતી હોવાથી મન મેલું અને અપવિત્ર હોય છે. માટે ઈચ્છા અને આસક્તિનો ત્યાગ તે શૌચ ધર્મ કહેવાય છે.
(૫) સત્ય :- હિતકારી, માપસર, પ્રિય અને ધર્મની પ્રેરણા આપનારાં વાક્યો બોલવાં તે સત્ય ધર્મ. હરિશ્ચન્દ્ર રાજાએ પોતાના મૃત્યુ પામેલા પુત્રનો અગ્નિસંસ્કાર કરવા આવેલી પત્નીને કિંમત ચૂકવ્યા વિના જરૂરી સામાન ન આપ્યો અને માલિકનો વિશ્વાસઘાત ન કર્યો. બોલવામાં, વર્તનમાં, ધર્મ બજાવવામાં યથાર્થ પ્રમાણિકતાનું પાલન તે સત્ય.
(૬) સંયમ:- મન, વચન અને કાયાનો નિગ્રહ એ સંયમ છે. સંયમના મુખ્યત્વે દેશ સંયમ (દેશ વિરતિ) અને સર્વસંયમ (સર્વવિરતિ) એમ બે ભેદ છે. દેશ સંયમમાં શ્રાવકના બાર વ્રતો આવે છે. સર્વસંયમના સત્તર ભેદ આ પ્રમાણે છે.
પાંચ મહાવ્રતોનું પાલન, પાંચ ઈન્દ્રિયોનો વિજય, ચાર કષાયોનો ત્યાગ અને મનદંડ, વચનંદડ અને કાયદંડ એ ત્રણ દંડથી નિવૃત્તિ એમ ૧૭ પ્રકારે સંયમ છે. અથવા બીજી રીતે સત્તર પ્રકારનો સંયમ આ પ્રમાણે કહી શકાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય એમ નવ પ્રકારના જીવોને પીડા થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ મન, વચન અને કાયાથી ન કરવી, ન કરાવવી