________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય ઃ ૯, સૂત્ર-૬
૨૪૯
સૂત્રાર્થ :- ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એમ દશ પ્રકારનો યતિધર્મ છે.
ભાવાર્થ :- ધર્મ બે પ્રકારે કહ્યો છે. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ. આ સૂત્રમાં સાધુધર્મનું વર્ણન છે તેથી સૂત્રકારે ‘ઉત્તમ’ શબ્દ વાપરેલો છે ઉત્તમ ક્ષમા આદિ ધર્મ મુખ્યત્વે સાધુઓને જ હોય છે. ગૃહસ્થોને ક્ષમા આદિ ધર્મ સામાન્ય હોય છે. ધર્મ શબ્દના વિશેષણ તરીકે ઉત્તમઃ શબ્દ મૂકીને ગ્રંથકારે સાધુજીવનના આ દશ ગુણો જણાવ્યા છે તેથી તે ગુણોને ઉત્તમધર્મ પણ કહેવાય છે અથવા યતિધર્મ પણ કહેવાય છે. તેનું સ્વરૂપ સમજીએ.
(૧) ક્ષમા :- ક્ષમા આત્માનો સ્વભાવ છે.
આત્મા જ્યારે ક્ષમા સ્વભાવરૂપ પરિણમન ન કરતાં વિભાવરૂપે પરિણમન કરે છે, ત્યારે તેના એ વિભાવ પરિણમનને ક્રોધ કહેવામાં આવે છે. ક્રોધીને જેના પર ક્રોધ આવે છે તેની જ ભૂલ દેખાય છે પોતાની નહિ. જ્યારે તેની ઈચ્છા પ્રમાણે કાર્ય ન થાય ત્યારે તે ક્રોધ કરે છે. ખરેખર તો ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો એક સાંકળ સમાન છે. શરૂઆત લોભથી (ઈચ્છાઓથી) થાય છે. જયારે સહજ રીતે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી ત્યારે જીવ માયા કરે છે. માયા કરીને જો ઈચ્છાઓને પૂર્ણ કરવામાં સફળતા મળે તો માન ઉત્પન્ન થાય છે અને માયા કરીને પણ સફળતા ન મળે ત્યારે જીવ ક્રોધ કરે છે. ક્રોધ કરવાથી પરસ્પર ક્લેશ અને કડવાશ થાય છે. પરસ્પર વૈમનસ્ય (વેર) વધે છે. પરિણામે જ્ઞાનશક્તિ, સ્મરણશક્તિ અને શારીરિકશક્તિનો નાશ થાય છે. ક્રોધને બદલે ક્ષમા રાખવાથી ચિત્તની સ્વસ્થતા, વૈમત્સ્યનો અભાવ, પરસ્પર થતી અપ્રીતિનો અભાવ વગેરે ફાયદા થાય છે. ક્રોધના કારણે સેંકડો ઘર-પરિવાર છિન્ન-ભિન્ન થતાં જોવામાં આવે છે. ક્રોધને શાસ્ત્રોમાં અગ્નિસમાન ગણવામાં આવ્યો છે. જે બધાને બાળે છે. ઉત્તમક્ષમા એ જ સાચો ઉપાય છે.
આ ક્ષમાધર્મના પાંચ ભેદ છે.
૧. ઉપકારક્ષમા ઃ - જેઓ આપણા ઉપકારી છે તેઓ ઠપકો આપે, સમજાવે કે ગુસ્સો કરે પરંતુ તે બધું આપણા હિત માટે જ ક્રોધ કરે છે તો એમાં ખોટું શું કરે છે ? તેમ સમજીને આપણે ક્ષમા રાખવી તે ઉપકાર ક્ષમા.
૨.
અપકાર ક્ષમા :- 1 હું ક્રોધ કરીશ તો સાથેનો જીવ પણ આવો જ ક્રોધ કરશે જેનાથી મને જ ઘણું નુકશાન થશે તેમ માનીને ક્ષમા રાખવી તે અપકાર ક્ષમા.