________________
૨૩૨
અધ્યાય આઠનો સાર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્રનો શબ્દ છે ‘સમ્યગ્દર્શન.’ જે મુક્તિનું કારણ છે. જો જીવને મુક્તિ જોઇતી નથી તો તેને માથે સંસારનું કારમું બંધન લદાયેલું છે. એથી સમજાય છે કે અવિરતિ આદિના ઉપાય કરવા કરતા, પ્રથમ ઉપાય મિથ્યાદર્શનને દૂર કરવાનો છે. મૂળ છેદાયું તો વૃક્ષ ધરાશયી થવાનું જ છે. અથવા રાજાની હાર થતાં પૂરું રાજ્ય હાર પામે છે. મિથ્યાત્વ ગયું કે આત્માનું સામર્થ્ય પ્રગટ થાય છે.
આથી આશ્રવના કારણોને ટાળવાનો ક્રમ પણ આત્માના યથાયોગ્ય વિકાસક્રમને અનુસરે છે. પહેલા વિરતિ કે પહેલા કષાય જય ? અને પછી મિથ્યાત્વ ટાળવું ? જો એમ થાય તો કદાચ વ્રતાદિ કરતો રહે અને પેલું મિથ્યાદર્શન તો એવું ને એવું પેટીપેક ચાલ્યું આવે છે, તે તો યથાવત્ (એવું ને એવું જ) રહે. આ તો ઘાંચીના બળદ જેવી દશા કહેવાય. માટે પ્રથમ મિથ્યાદર્શનને ટાળવું તે કર્તવ્ય છે, અત્યંત જરૂરી છે.
પૂર્વે સેવેલા અજ્ઞાનજનિત મિથ્યાભાવોથી જન્મ સાથે માનવને પિતા, પુત્ર કે મિત્ર આદિનો સંયોગ થાય છે, ત્યારે જીવ તેને ખરેખર પોતાના માને છે. વળી આ જન્મના તે તે સંબંધો છૂટી જાય ત્યારે દુઃખ પામે છે. સ્વપ્નમાં જોયેલી વસ્તુને પોતાની માને છે અને ખુશી થાય છે. તેમ પોતાની વસ્તુને લઇ જતા જોઇ દુઃખી થાય છે. તે રીતે જાગૃત અવસ્થામાં પણ પરવસ્તુના મમત્વથી દુ:ખી થાય છે. પરંતુ એ સંયોગિક સંબંધ છે. તેમ તેની સમજમાં આવતું નથી. આવો મિથ્યાભાવ જીવ જ્યાં જે જે યોનિમાં કે સ્થાનોમાં જન્મ્યો ત્યાં કરતો જ આવ્યો છે. અટક્યો નથી.
પોતે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનાદિ ગુણો પોતાના છે. તે હજી તેના માનવામાં આવ્યું નથી. પુદ્ગલ વર્ણાદિથી પોતે કાળો-ધોળો માને છે, સ્પર્શ વગેરેમાં સુખ માને છે, પુદ્ગલના લક્ષણો સાથે એકમેક થઇ જાય છે. શરીરના બદલવાથી પોતે બદલાયો માને છે. દરેક પદાર્થનું સ્વતંત્ર પરિણમન છે તે હજી તેની સમજમાં આવ્યું નથી. તેથી ચેતન એવા આત્માને પોતે દેહથી ભિન્ન છે તેવું શ્રદ્ધાન થતું નથી.
પોતે સ્વભાવે જ્ઞાતાદષ્ટા હોવા છતાં ઇન્દ્રિયજ્ઞાનમાં જ રોકાયો છે. મૂર્ત એવા શરીરને જોઇને તેમાં આત્મબુદ્ધિ કરે છે. અરે ! ઘણાને વિદાય થતાં જોઇને પણ નિર્ણય પર આવતો નથી કે પોતે શરીરથી જુદો છે, અમૂર્ત છે, જેનો અનુભવ શુદ્ધ ઉપયોગમાં જ થઇ શકે છે. શરીરને ઘસી-ઘસીને સુધારે છે, વળી અનુષ્ઠાન દ્વારા યોગને કંઇક સુધારે છે અને ઉપયોગને જોતો જ નથી. ઉપયોગ એ જ આત્મા છે. વર્તમાનની અવસ્થા અશુદ્ધ હોવાથી ઉપયોગનો આત્માને અનુભવ થતો નથી.