________________
અધ્યાય : ૮, સૂત્ર-૨૬
૨૨૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ગણેલ છે. હાસ્ય અને રતિમોહનીય આનંદ-પ્રમોદ આપનાર છે માટે પુણ્યમાં ગણેલ છે. પુરુષવેદનો ઉદય સ્ત્રીવેદ અને નપુંસકવેદના ઉદય કરતા સુખદાયી હોવાથી પુણ્યમાં ગણેલ છે. આ રીતે આનંદ-પ્રમોદ-પ્રીતિ અને સુખ આપે તે પુણ્ય. તે અર્થની પ્રધાનતાએ આ ચાર પ્રકૃતિઓને તત્ત્વાર્થ સૂત્રકારે પુણ્યમાં ગણેલ છે.
કમ્મપડિ-નવતત્ત્વ અને કર્મગ્રંથકારોનો આશય એવો છે કે સમ્યકત્વ મોહનીય કર્મ ભલે સમ્યક્ત્વને અટકાવી ન શકે તથા મિથ્યાત્વ અને મિશ્રમોહનીય કરતાં ભલે મંદતમ રસવાળી હોય તો પણ તે સમ્યક્ત્વને આપનારી નથી, પરંતુ આવેલા સમ્યકત્વમાં અતિચારો લાવનારી છે. સમ્યક્ત્વને કલુષિત કરવાનું જ કામ કરે છે, માટે પુણ્ય પ્રકૃતિ નથી પણ પાપપ્રકૃતિ છે. હાસ્યાદિ ત્રણે મોહનીય કર્મ ભલે આનંદ પ્રમોદ કરાવે, પ્રીતિ અને સુખ ઉપજાવે પરંતુ સુખકારી એવા પૌલિકભાવોમાં મોહાન્ધ કરનાર હોવાથી અને રાગ વર્ધક હોવાથી પુણ્ય નથી પણ પાપ છે. આ રીતે બન્નેની સમજાવવાની દૃષ્ટિ જુદી છે, પરંતુ મતાન્તર કે મિથ્યામત નથી. જેમ સાંસારિક લગ્નપ્રથા એ વિષયાભિમુખ પ્રવૃત્તિ હોવાથી નિશ્ચયથી અશુભ પણ છે અને એક બંધનની સાથે બંધાવાના કારણે વ્યભિચારની નિવૃત્તિરૂપ હોવાથી શુભ પણ છે. તેમ અહીં પણ આ વિધાનમાં વિવક્ષાભેદ - દૃષ્ટિભેદ કારણ સમજવું, પરંતુ મતાન્તર કે મિથ્યાવાદ ન સમજવો.
આયુષ્ય કર્મમાં દેવ અને મનુષ્ય એમ બે જ આયુષ્ય શુભ ગણાય છે કારણ કે આ બે ભવમાં સુખ વધારે અને દુઃખ ઓછું છે તથા નરક અને તિર્યંચનું આયુષ્ય પાપમાં ગણાય છે કારણકે ત્યાં દુઃખ વધારે અને સુખ ઓછું છે. વાસ્તવિકપણે બે આયુષ્ય શુભ કહેવાય અને બે આયુષ્ય પાપ કહેવાય તો પણ તિર્યંચના ભવમાં રહેલા જીવોને પણ પોતાના ભવમાં જીવવું ગમે છે, મરવું ગમતું નથી, કીડી જેવો અલ્પબુદ્ધિવાળો જીવ પણ પકડવા જતાં ભાગાભાગ કરે છે. બિલાડી ઉંદર પાછળ પડે, વાઘ-સિંહ સસલા પાછળ પડે ત્યારે ઉંદર અને સસલુ પણ જીવ બચાવવા દોડમદોડ કરે છે. તેથી “જીવન વહાલું છે” માટે તિર્યંચ આયુષ્યને પણ શાસ્ત્રકારો પુણ્યમાં ગણે છે. આ રીતે સર્વત્ર વિવક્ષાભેદ એ જ પ્રધાન કારણ સમજવું.