________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૮, સૂત્ર-૧૨
૧૯૩
ઔદારિક શરીરના પુદ્ગલોની સાથે નવા ઔદારિક પુદ્ગલોનું જે એકીકરણ થાય તે ઔદારિક ઔદારિક બંધન જુદુ ગણવું. તેવી જ રીતે ઔદારિક-તૈજસ, ઔદારિકકાર્યણ અને ઔદારિક - તૈજસ - કાર્મણ બંધન ગણતાં કુલ ૪ બંધન નામકર્મ થયાં. તે જ રીતે વૈક્રિય અને આહારક શરીર સંબંધી પણ બંધન નામ કર્મના ૪ – ૪ ભેદ ગણવા.
તૈજસ બંધન નામકર્મ જે એક છે તેના તૈજસ – તૈજસ બંધન અને તૈજસ - કાર્મણ બંધન એમ બે થયા. છેલ્લું જે કાર્યણ બંધન હતું તેનું કાર્યણ-કાર્યણ બંધન એમ એક થયું.
જેથી પાંચ બંધનને બદલે પંદર બંધન થાય છે.
ઔદારિક બંધનના ૪ + વૈક્રિય બંધનના ૪ + આહારક બંધનના ૪ + તૈજસ બંધનના ૨+કાર્મણ બંધનનો ૧ એમ ૪ + ૪+૪+૨+૧+ = ૧૫ બંધન થાય છે. પ્રત્યેક પ્રકૃતિઓના આઠ (૮) ભેદ તે હવે સમજાવાય છે ઃ
જેમાં નામ કર્મના પેટા ભેદો નથી અર્થાત્ એક એક કર્મપ્રકૃતિ જ છે, તે પ્રત્યેક પ્રકૃતિઓ કહેવાય છે. જોકે આવા પ્રકારની એક એક પ્રકૃતિ નામકર્મમાં ૨૮ છે. તે અઠ્ઠાવીસ પ્રકૃતિઓમાં ત્રસદશકની ૧૦ પ્રકૃતિઓ અને સ્થાવરદશકની ૧૦ પ્રકૃતિઓ દશ દશના સમૂહરૂપે છે. તેથી તેને જુદી ગણવામાં આવે છે. ૧૦ + ૧૦ = ૨૦ સિવાયની બાકીની આઠ જ પ્રત્યેક પ્રકૃતિઓ તરીકે પ્રસિદ્ધ છે. આ આઠ પ્રત્યેક પ્રકૃતિઓના અર્થ સમજીએ.
(૧) પરાઘાત નામ કર્મ : જે કર્મના ઉદયથી જીવનો પ્રભાવ એવો હોય કે સામેનો બળવાન માણસ (અથવા તેનો વિરોધી માણસ) પણ દબાઈ જાય, અથવા અંજાઈ જાય. હૈયામાં વિરોધ હોવા છતાં પણ કંઈ બોલી શકે નહિ. આવા પ્રકારના પ્રભાવની પ્રાપ્તિ કરાવનારૂં કર્મ પરાઘાત નામકર્મ.
(૨) ઉચ્છ્વાસ નામકર્મ : જે કર્મના ઉદયથી જીવ શ્વાસઉચ્છ્વાસ સુખે સુખે લઈ શકે અને મૂકી શકે અર્થાત્ શ્વાસ-ઉચ્છ્વાસ લેવા-મૂકવામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તેવું કર્મ તે ઉચ્છ્વાસ નામકર્મ.
(૩) આતપ નામકર્મ : જે કર્મના ઉદયથી જીવોનું શરીર શીત (ઠંડુ) હોવા છતાં બીજાને ઉષ્ણ પ્રકાશ આપે તેને આતપ નામકર્મ કહેવાય છે. આતપ નામકર્મનો ઉદય સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવોને (રત્નોને) જ હોય છે. બીજા કોઈને આતપ નામકર્મનો ઉદય હોતો નથી.