________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૦
૧૮૧ શંકાઃ રતિ એટલે પ્રીતિ-સુખની પ્રાપ્તિ. સાતાવેદનીય કર્મના ઉદયથી પણ જીવને સુખની પ્રાપ્તિ થાય છે. તો સાતવેદનીય અને રતિમોહનીય કર્મમાં તફાવત શું ?
સમાધાનઃ પુણ્યના ઉદયથી અથવા પાપના ઉદયથી સુખ અને દુઃખના સાધનો મળવા અને તેનાથી સુખ-દુઃખનો અનુભવ થવો તે સાતવેદનીય અને અસતાવેદનીય કર્મનો વિષય છે. પરંતુ મળેલા સાધનોથી પ્રાપ્ત થતા સુખ કે દુઃખમાં સુખબુદ્ધિ અથવા દુઃખબુદ્ધિ થવી તે રતિ-અરતિ મોહનીયકર્મનો વિષય છે.
૩૪ અતિશયોનો વૈભવ હોવા છતાં તીર્થકરભગવંતો રતિ વિનાના છે. ખંધકમુનિના શિષ્યો ઘાણીમાં પીલાયા છતાં મનના અધ્યવસાયો અરતિ વિનાના છે. બંને ઉદાહરણોમાં એકમાં અતિ સુખ અને બીજામાં અતિ દુઃખ છે એટલે સાતા-અસાતા છે. પરંતુ રતિ કે અરતિ નથી.
શંકા : અમૂક પ્રકારના કષાયવાળો જીવ મૃત્યુ પામી અમૂક ગતિમાં જાય એવો નિયમ ખરો?
સમાધાનઃ ના, એવો કોઈ ચોક્કસ નિયમ નથી. મૃત્યુ પછી જીવ કઈગતિમાં જાયતેનો આધાર આયુષ્યના બંધ વખતે કેવા પ્રકારના કષાયનો ઉદય છે તેના ઉપર છે.
જો આયુષ્યના બંધ વખતે અનંતાનુબંધીનો કષાય અતિતીવ્ર હોય તો નરકગતિનું આયુષ્ય બંધાય, જો આ જ કષાય મધ્યમ હોય તો તિર્યંચ કે મનુષ્ય ગતિનું આયુષ્ય બંધાય. જો આ કષાયો અતિ મંદ હોય તો દેવગતિનું પણ આયુષ્ય બંધાય.
અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદય વખતે દેવો તથા નારકોને આયુષ્યનો બંધ પડે તો મનુષ્યગતિનું આયુષ્ય બંધાય.
પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એ બે પ્રકારના કષાયના ઉદય વખતે આયુષ્ય બંધાય તો નિયમા દેવગતિનું જ આયુષ્ય બંધાય.
ટૂંકમાં જીવને મૃત્યુ પછી કઈ ગતિ થાય તેનો આધાર મૃત્યુ વખતે ક્યા પ્રકારના કષાયો છે તેના ઉપર નથી, પરંતુ આયુષ્યનો બંધ પડે ત્યારે કેવા પ્રકારના કષાયો છે તેના ઉપર છે. આગળ જણાવ્યું તે પ્રમાણે નીચેના ચાર્ટમાંથી સમજી લેવું.