________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૭, સૂત્ર-૩૩
૧૪૩ પોતાના અને પરના એમ બંનેના ઉપકાર માટે પોતાની માલિકીની વસ્તુનો ત્યાગ કરવો તેને દાન કહેવાય છે. અતિસર્ગ એટલે ત્યાગ કરવો. અહીં દાનની વ્યાખ્યામાં સ્વસ્ય શબ્દ છે એટલે જે પોતાની માલિકીની વસ્તુ હોય તેના ત્યાગને જ દાન કહેવાય
છે.
અહીં ઉપકાર પણ સ્વનો અને પરનો એમ બન્નેનો પારમાર્થિકપણે (પ્રધાનપણે) અને આનુષંગિકપણે (ગૌણપણે) એમ બંને પ્રકારનો હોય છે.
પારમાર્થિક ઉપકાર ઃ આપણા આત્માની અને પરના આત્માની ગુણવત્તા વધે, દોષ ઘટે અને તે દ્વારા કર્મબંધ ઘટતો જાય, કર્મનિર્જરા વધતી જાય અને પરંપરાએ ગુણસ્થાનકો ઉપર ચઢતા ચઢતા મુક્તિ પ્રાપ્ત થાય તે સ્વ અને પરનો પારમાર્થિક ઉપકાર કહેવાય છે.
આનુષંગિક ફળ : જેમ ખેતરમાં અનાજ ઉપાર્જનના આશયથી કરાતી ખેતીમાં ઘાસ અનાયાસે ઉગે જ છે. તે જ રીતે ગુણવત્તા, કર્મનિર્જરા અને મુક્તિ પ્રાપ્તિ આદિ ફળ મેળવવાના આશયથી કરાતી ધર્મક્રિયા દ્વારા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતી સાંસારિક સુખની સાનુકૂળતા એ આનુષંગિક ફળ છે.
હવે દાન આપવાથી મળતા સ્વ અને પરના પારમાર્થિક ઉપકાર અને આનુષંગિક ઉપકાર કેવી રીતે થાય છે. તે સમજવા પ્રયત્ન કરીએ.
દાનથી પારમાર્થિક ઉપકાર :
સાધુસંતોને આહારાદિનું દાન કરવાથી તેઓ સંયમ સુખે સુખે પાળી કર્મનિર્જરા અને મુક્તિફળ મેળવે તે પરનો પારમાર્થિક ઉપકાર.
દીન, દરિદ્ર અને દુઃખીને કરાયેલા દાનથી, તેમનું આર્ત-રૌદ્ર ધ્યાન ઘટે, તેથી કર્મબંધ ઓછો થાય તે દીન દુઃખીનો પારમાર્થિક ઉપકાર.
દાન આપનારને ભક્તિનો ભાવ, દીન દુઃખીનું દુઃખ દૂર કરવાનો ભાવ, ધન ઉપરની મૂછ-મમતા ઓછી કરવાનો ભાવ અને સંતોષ, ઉદારતા આદિ ગુણોની પ્રાપ્તિનો ભાવ તે સ્વનો પારમાર્થિક ઉપકાર.