________________
અધ્યાય : ૬, સૂત્ર-૨૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
આ ઉપભોગના વિષયમાં વિઘ્ન કે અંતરાય ઊભો કરવો અથવા એવા ઉપાયો કરવા કે જેથી તે ઉપભોગ ન કરી શકે. એ જ રીતે ઉપભોગ કરનારને ઉપભોગથી રોકવો, ઉપભોગવાળી પ્રવૃત્તિની નિંદા કરવી, ઉપભોગની વસ્તુઓનો નાશ કરવો વગેરે ઉપભોગાંતરાયકર્મના આશ્રવો છે.
૬૨
વીર્ય-વિઘ્નકરણ (વીર્યંતરાય)
વીર્ય એટલે આત્મશક્તિ. કોઈની આત્મશક્તિ ફોરવવાના વિષયમાં અંતરાય ઊભો કરવો અથવા એવા ઉપાયો કરવા કે જેથી તેને ઉત્સાહ થાય નહિ. જેમકે કોઈને તપ કરવો હોય તો તેને શરીર સંબંધી સલાહ આપી તપનો ઉત્સાહ ભાંગી નાંખવો. ધાર્મિક કાર્યમાં ઉત્સાહ તોડી નાંખવો. એ જ રીતે આત્મશક્તિ ફોરવે તે તપ-ક્રિયાની નિંદા કરવી. જે વિષયનો ઉત્સાહ છે તે વિષયનો જ નાશ કરવો તે વીર્યંતરાય કર્મના આશ્રવો છે.
સૂત્ર (૬-૧૧) થી સૂત્ર (૬-૨૬) સુધી સૂત્રકાર મહર્ષિએ આઠે કર્મપ્રકૃતિને આશ્રયીને ભિન્ન-ભિન્ન આશ્રવોનું વર્ણન કર્યું. તે સામ્પરાયિક આશ્રવના ભેદ છે. આ સૂત્રો સમજ્યા પછી એક શંકા અને તેનું સમાધાન જરૂરી છે.
શંકા : ઉપર જણાવેલ સૂત્રોમાં દરેક મૂળપ્રકૃતિ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે)ના આશ્રવો જુદા-જુદા કહ્યા છે તે ઉપરથી એક પ્રશ્ન થાય કે શું જ્ઞાન-પ્રદોષ વગેરે આશ્રવો માત્ર જ્ઞાનાવરણીય કર્મના જ છે ?
અથવા આઠે પ્રકૃતિને આશ્રયીને જણાવેલા આશ્રવોથી તે-તે કર્મપ્રકૃતિના જ બંધ થાય છે તે સાથે અન્ય કર્મપ્રકૃતિના પણ બંધ તે-તે આશ્રવોથી થાય છે ?
સમાધાન ઃ તમારો પ્રશ્ન વ્યાજબી છે. અહીં જે-જે કર્મના જે-જે આશ્રવો બતાવ્યા છે તે-તે આશ્રવોની હયાતિમાં તે-તે જ કર્મો બંધાય છે એવું નથી. આન્ય કર્મો પણ અવશ્ય બંધાય જ છે.
શાસ્રીય નિયમ એવો છે કે, પ્રત્યેક સમયે સાત કર્મો (આયુષ્ય સિવાયના) બંધાય છે. આયુષ્યનો જે સમયે બંધ પડે તે સમયે આઠ કર્મો અવશ્ય બંધાય છે. આ નિયમ પ્રમાણે જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય ત્યારે દર્શનાવરણીય આદિ અન્ય છ કર્મપ્રકૃતિનો બંધ પણ થાય જ છે.