________________
૫૬
અધ્યાય : ૬, સૂત્ર-૨૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
(૧૨) બહુશ્રુત ભક્તિ :
ઘણા શ્રુત-શાસ્ત્રના જાણકારને બહુશ્રુત કહેવાય છે. આવા બહુશ્રુત પાસે વિધિપૂર્વક અભ્યાસ કરવો, વિનય કરવો. તેમના બહુશ્રુતપણાની પ્રશંસા, અનુમોદના કરવી તે બહુશ્રુત ભક્તિ કહેવાય છે.
(૧૩) પ્રવચન ભક્તિ :
પ્રવચન એટલે દ્વાદશાંગી અથવા આગમ શાસ્ત્ર. વર્તમાનકાળે જે આગમો ઉપલબ્ધ હોય તે લખવા-લખાવવા-સાચવવા. વિધિપૂર્વક અભ્યાસ કરવો - કરાવવો. તેની પ્રતિષ્ઠા વધારવી.
(૧૪) આવશ્યક-અપરિહાણિ :
સામાયિક, ચતુર્વિંશતિસ્તવ (લોગસ્સ), વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચક્ખાણ એ છ આવશ્યક છે જે રોજ કરવા જોઈએ. અહીં આવશ્યક શબ્દથી સંયમના નિર્વાહ માટે જરૂરી સર્વ ક્રિયાઓ સમજવી. સંયમની સર્વ પ્રકારની ક્રિયાઓ ભાવથી સમયસર વિધિપૂર્વક કરવી એ આવશ્યક અપરિહાણિ છે. ભાવથી એટલે માનસિક ઉપયોગપૂર્વક. ઉપયોગ વિનાના સર્વ ધાર્મિકઅનુષ્ઠાનો દ્રવ્યઅનુષ્ઠાનો છે, જેનાથી આત્મકલ્યાણ ન થાય, માટે સર્વ અનુષ્ઠાનો ઉપયોગપૂર્વક કરવાં.
(૧૫) મોક્ષમાર્ગ પ્રભાવના :
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યપ્ચારિત્ર આ ત્રણેનો સમન્વય તે મોક્ષ માર્ગ. આ માર્ગની પ્રભાવના એટલે સ્વયં મોક્ષમાર્ગનું પાલન કરવા સાથે અન્ય જીવો પણ મોક્ષમાર્ગ પામે એ માટે ઉપદેશ દ્વારા મોક્ષમાર્ગનો પ્રચાર કરવો.
(૧૬) પ્રવચન વાત્સલ્ય :
પ્રવચન એટલે જિનશાસનની આરાધના કરનાર સાધર્મિક. અહીં પ્રવચન શબ્દથી બાળ, શ્રુતધર, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, ગણ વગેરે મુનિભગવંતો સમજવા. જે પ્રવચનના આરાધક છે તથા જૈન શાસનની પ્રભાવના કરનાર છે તે પણ પ્રવચની કહેવાય છે. તેમના ઉપર સંગ્રહ, ઉપગ્રહ અને અનુગ્રહથી વાત્સલ્ય ભાવ રાખવો તે પ્રવચન વાત્સલ્ય.