________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૧૭-૧૮
૪૫
અતિ ક્રોધી, અભિમાની, ધૃષ્ટ, માયાવી, રૌદ્રસ્વભાવી, પાપી, ચાડી ખાનાર, અતિ લોભી, સાધુની નિંદા કરનાર, અધર્મી, અસંબદ્ધ વચન બોલનાર, દુષ્ટ બુદ્ધિવાળો, કૃતઘ્ન હોય તે જીવ અત્યંત દુઃખ અને શોક પામીને નરકમાં જાય છે.
સાર : નરકગતિના દારૂણ દુઃખોનું જે મહા ભયંકર વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે તે જોતાં કોઈ જીવ નરકમાં જવાની ઇચ્છા ન કરે. ત્યાંના અત્યંત દુઃખોથી આકુળ-વ્યાકુળ બનેલો જીવ ક્ષણે ક્ષણે મરણને જ ઇચ્છે છે.
ત્યાં ગયા પછી મરવું તે તો આપણા હાથની વાત નથી. પણ ત્યાં જવાનું ન થાય તેમ પ્રવૃત્તિ કરવી એ આપણા હાથની વાત છે. સૂત્રકાર મહર્ષિએ નરક આયુષ્યના જે કારણો આ સૂત્રમાં જણાવ્યાં છે તેને બરાબર સમજીને જો તેનાથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ થઈએ તો નરક આયુષ્યના બંધથી બચી જવાય. આ માટે બહુ આરંભ અને બહુ પરિગ્રહને છોડવા સતત જાગૃત અને પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.
સૂત્ર (૬-૧૭) પ્રયોજન :- તિર્યંચ આયુષ્યના આશ્રવો જણાવે છે. माया तैर्यग्योनस्य
६-१७
માયા તૈર્યગ્યોનસ્ય
૬-૧૭
માયા તૈર્યગ્યોનસ્ય
૬-૧૭
શબ્દાર્થ : માયા = કપટ, તૈર્યગ્યોનસ્ય = તિર્યંચ આયુષ્યનો (આશ્રવ) સૂત્રાર્થ : માયા તિર્યંચ આયુષ્યનો આશ્રવ છે.
ભાવાર્થ : માયા એ કષાયનો એક ભેદ છે. આ માયા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ચારે સ્વરૂપે હોઈ શકે છે. આવી ચાર પ્રકારની માયાનો અર્થ તો કપટ અથવા સ્વભાવની વક્રતા જ છે. મનમાં કાંઈ, વચનમાં કાંઈ અને કાર્યમાં સાવ જુદુ જ હોવું તે માયા છે.
ટૂંકમાં માયા-છળ-કપટ-પ્રપંચ-છેતરપિંડી-જુઠ હૈયામાં ઝેર અને મુખમાં મધ જેવી મીઠાશ રાખવાથી જીવ તિર્યંચઆયુષ્ય બાંધે છે.