________________
૩૬
અધ્યાય : ૬, સૂત્ર-૧૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ તે અકામનિર્જરા કહેવાય છે.
રોગ વગેરેના કારણે પાપપ્રવૃત્તિ ન કરે, વિષય સુખનું સેવન ન કરે, આવેલ કષ્ટ હાયવોય કરીને સહન કરે, ઈત્યાદિથી અકામ નિર્જરા થાય છે.
પરતંત્રતાથી અકામ નિર્જરાઃ નોકર, જેલમાં ગયેલો માણસ વગેરે લોકો ઈષ્ટના વિયોગનું અને અનિષ્ટના સંયોગનું દુઃખ સહન કરે છે. સારા આહાર કે સુંદર વસ્ત્રાદિનો ઉપભોગ કરી શકતા નથી. જો તેઓ આવેલી સ્થિતિને હાયવોય કરીને સહન કરે તો તેઓને અકામ નિર્જરા થાય છે.
અનુરોધ (દાક્ષિણ્ય કે પ્રીતિ) થી અકામનિર્જરા મિત્ર કે સ્વજન વગેરે આપત્તિમાં આવે ત્યારે દાક્ષિણ્યતાથી કે પ્રીતિથી તેમને મદદ કરવા કષ્ટ સહન કરે. વ્યવહારની ખાતર મિષ્ટાન્ન આદિનો ત્યાગ કરે તે સર્વ અકામનિર્જરા કહેવાય છે.
સાધનના અભાવે અકામનિર્જરા :
ગરીબ માણસો, તિર્યંચો, ઠંડી કે ગરમીનું દુઃખ અનિચ્છાએ સહન કરે. ચા પીવાની ઇચ્છા થઈ છે પણ દૂધવાળાની હડતાલને કારણે દૂધ મળતું નથી તો તે સાધનનો અભાવ કહેવાય. આવી સ્થિતિને અનિચ્છાએ સહન કરવી તે અકામનિર્જરા છે.
રોગથી અકામનિર્જરા : બીમાર મનુષ્યને સાધન સગવડ બધું જ હોય પણ ધારો કે ડાયાબીટીશ છે અને મિષ્ટાન્ન ખાઈ શકતો નથી, દમ છે અને ઠંડા પીણા પી શકતો નથી અથવા તાવ આવેલો છે. આના કારણે અનિચ્છાએ જે કંઈ સહન કરવું પડે તેને અકામનિર્જરા કહેવાય છે.
ટૂંકમાં સહન કરવાના ઈરાદા સિવાય જે કંઈ સહન કરવું પડે અને સહન કરે અથવા નિર્જરાના ધ્યેય રહિત પણે જે કંઈ નિર્જરા થાય તે સર્વે અકામનિર્જરા છે.
(૭) બાલતપઃ અજ્ઞાનતાથી વિવેક રહિત થતો અગ્નિપ્રવેશ, પંચાગ્નિતપ વગેરે બાલતપ છે. સમ્યગ્દર્શન વિના અજ્ઞાનપૂર્વકનો તપ તે બાલતપ કહેવાય છે.
(૮) ક્ષમા : ક્રોધકષાયના ઉદયને રોકવો કે ઉદય પામેલા કષાયને નિષ્ફળ બનાવવો. પ્રતિકારની શક્તિ હોવા છતાં પણ બીજાના આક્રોશ, કુવચનો આદિ સાંભળીને ક્રોધ ન કરવો તેને ક્ષમા કહેવાય છે.