________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૬, સૂત્ર-૧૨
૩૧
સૂત્રાર્થ : : દુ:ખ, શોક, તાપ, આક્રંદન, વધ અને પરિદેવન સ્વયં અનુભવે, અન્યને કરાવે તથા સ્વયં પણ અનુભવે અને અન્યને પણ કરાવે. (એમ ત્રણ રીતે) અસાતાવેદનીય (કર્મના આશ્રવો બને) છે.
ભાવાર્થ : સૂત્રકાર મહર્ષિ અસાતા વેદનીય કર્મનો આશ્રવ કઈ રીતે થાય તેની વાત કરે છે.
દુઃખ ધારણ કરવું કે આપવું. શોક કરવો કે કરાવવો. તાપ-પીડા કરવી કે કરાવવી. આક્રન્દન-રૂદન કરવું કે કરાવવું, વધ કરવો કે કરાવવો, હાય-વોય કરવી કે કરાવવી. આ રીતે પોતે દુ:ખ વગેરે ધારણ કરવું - બીજાને દુઃખ વગેરે આપવું કે બંને પક્ષે દુઃખ વગેરે ઉત્પન્ન કરવા - કરાવવા તે અશાતાવેદનીયકર્મનો આશ્રવ છે.
દુઃખ ઃ બાહ્ય કે આંતરિક નિમિત્તથી પીડા થવી તે દુઃખ. ઈષ્ટનો વિયોગ, અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ, નિષ્ઠુર વચન આદિ બાહ્ય કારણોની અપેક્ષાએ તેમજ રાગ વગેરે અત્યંતર નિમિત્તો આ સર્વે અસાતાવેદનીયકર્મના આશ્રવો છે.
શોક : કોઈ સ્વજન કે મિત્રનો સંબંધ તૂટતાં જે ચિંતા થાય તે શોક. મિત્ર, સ્વજન, બંધુ, પ્રેમી આદિથી સંબંધ વિચ્છેદ થઈ જવાથી તેનો વારંવાર વિચાર કરવાને લીધે ખેદ ઉત્પન્ન થવાથી શોક મોહનીય કર્મનો બંધ થાય છે.
તાપ : અપમાન થવાથી મન ક્લુષિત થવાને લીધે જે તીવ્ર સંતાપ થાય છે તેને તાપ કહેવાય છે.
કોઈ અનુચિત (Inappropriate) કામ થઈ જવાથી કઠોર વચન, ઠપકો, નિંદા વગેરે થવાથી કલુષિત થયેલા ચિત્તવાળી વ્યક્તિને મનોમન જે તીવ્ર જ્વલન કે સંતાપકારી પરિણામો થાય છે તેને તાપ કહેવાય છે.
આક્રંદન ઃ ગદ્ગદ્ સ્વરે આંસુ સારવા સાથે રડવું તે આક્રંદન. વધુ પડતા દુઃખ, શોક કે સંતાપને લીધે, માનસિક બળતરા થવાથી, હાથપગ પછાડે, કપાળ કુટે અને છાતીફાટ રૂદન કરે તેને આક્રંદન કહેવાય છે.
વધ : કોઇપણ જીવના પ્રાણ લેવા તેને વધ કહેવાય છે. દશ પ્રકારના પ્રાણોમાં કોઈપણ પ્રાણનો નાશ કરવાવાળી પ્રવૃત્તિ કરવી તેને વધ કહેવાય છે.
પરિદેવન ઃ અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયોગથી વિલાપ કરવો. બીજાને દયા આવે એટલી હદે દીન બનીને તેના વિયોગનું દુઃખ પ્રગટ કરવું તેને પરિદેવન કહેવાય છે.