________________
૨૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૬, સૂત્ર-૯
શંકા : સંરંભ, સમારંભ અને આરંભ એટલે શું? સમાધાન ઃ તે ત્રણે શબ્દોના અર્થો આ પ્રમાણે છે.
સંરંભ : હિંસા આદિ પાપ ક્રિયા કરવાના સંકલ્પો કરવા અથવા મારવાના વિચાર. માનસિક પાપકર્મ કરવાના વિચારો.
સમારંભઃ હિંસા આદિના સંકલ્પને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી કે સાધનો ભેગાં કરવાં. તૈયારી કરવી.
આરંભ : હિંસા આદિ પાપક્રિયા કરવી. શંકા ઃ કૃત, કારિત અને અનુમત એટલે શું? સમાધાન : કૃત = સ્વયં હિંસા આદિની ક્રિયા કરવી. કારિત = બીજા પાસે હિંસા કરાવવી. અનુમત = બીજાએ કરેલી હિંસાની અનુમોદના કરવી
દાખલા તરીકે એક માણસ ક્રોધથી હિંસા (આરંભ) કરે છે કરાવે છે અને અનુમોદન આપે છે તે નીચેના શબ્દોથી સ્પષ્ટ સમજી શકાય.
(૧) ક્રોધ-કૃત-કાય-આરંભ
ગુસ્સાથી ધમધમતો એક માણસ કાયા વડે બીજાની હિંસા કરે તો તેને ક્રોધ-કૃતકાય-આરંભ કહેવાય. જેમકે ખૂન કરે.
(૨) ક્રોધ-કારિત-કાય-આરંભ
ગુસ્સાથી ધમધમતો તે માણસ જો કાયા વડે બીજા પાસે હિંસા કરાવે તો તેને ક્રોધકારિત-કાય-આરંભ કહેવાય. જેમ કે ગુંડાને પૈસા આપી કોઈનું ખૂન કરાવે.
(૩) ક્રોધ અનુમત-કાય - આરંભ
ગુસ્સાથી ધમધમતો તે માણસ બીજાથી થયેલી હિંસાને જોઈને તે હિંસાનું અનુમોદન કરે તો તે ક્રોધ-અનુમત-કાય-આરંભ કહેવાય.