________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય : ૩, સૂત્ર-૧
૧૬૫
વાલુકાપ્રભા : રેતીની મુખ્યતાવાળી છે. પંકપ્રભા : કાદવની અધિકતાવાળી છે. ધૂમપ્રભાઃ ધૂમાડાની પ્રધાનતાવાળી છે. તમ:પ્રભા : અંધકારની વિશેષતાવાળી છે. મહાતમપ્રભા : અતિશય અંધકારની પ્રધાનતાવાળી છે.
પ્રથમ રત્નપ્રભાપૃથ્વી એક રાજ પહોળી છે. બીજી નારકી અઢી રાજ પહોળી છે. ત્રીજી નારકી ચાર રાજ પહોળી છે. ચોથી નારકી પાંચ રાજ પહોળી છે. પાંચમી નારકી છ રાજ પહોળી છે. છઠ્ઠી નારકી સાડા છ રાજ પહોળી છે. સાતમી નારકી સાત રાજ પહોળી છે. આ પ્રમાણે પૃથ્વીઓ નીચે નીચે વધારે વધારે પહોળી હોવાથી છત્રની ઉપર છત્રના જેવો તેમનો આકાર છે.
શંકાઃ રાજનું માપ સમજાવો.
સમાધાન: રાજનું માપ આ પ્રમાણે દર્શાવી શકાય છે. ૩,૮૧, ૨૭,૯૭૦ મણનો એક ભાર એવા એક હજાર મણ ભારવાળા તપેલા ગોળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતો કરતો છ માસ, છ દિવસ, છ પહોર, છ ઘડી, અને છ સમય જેટલા કાળમાં જેટલું અંતર કાપે તે અંતર ૧ રાજ કહેવાય છે.
૧ રાજ = અસંખ્યાતા યોજન ૧ યોજન = ૩, ૨૦૦ માઈલ (ઉત્કૃષ્ટ માપ) શંકા : રૂચકપ્રદેશ કોને કહેવાય ? તેનું સ્થાન ક્યાં છે ?
સમાધાન : રત્નપ્રભા નારકીની ઉપર બે પ્રતરમાં મેરૂ પર્વતની અંદરના કંદના ઉર્ધ્વભાગમાં આઠ રૂચક પ્રદેશો આવેલા છે. જે બે પ્રતર છે તેમાં ઉપરના પ્રતરમાં ગાયના આંચળની જેમ ચાર આકાશપ્રદેશ રહેલા છે. તે જ રીતે નીચેના પ્રતરમાં પણ ચાર આકાશપ્રદેશ રહેલા છે. આ રીતે નીચે-ઉપર રહેલા ચાર-ચાર એવા આઠ પ્રદેશોને જ્ઞાની પુરૂષો “રૂચકપ્રદેશ” એવા નામથી ઓળખે છે.
શંકાઃ ચૌદ રાજલોકમાં શું શું રહેલું છે ? સમાધાનઃ - સૌથી ઉપર સિદ્ધશિલા છે.