________________
હીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સવાઈહીર આચાર્યદેવ શ્રી સેનસૂરીશ્વરજી મહારાજા કૃત પ્રતિષ્ઠાકલ્પને મુખ્ય આધાર તરીકે સ્વીકારાયો. કોઈ પણ વિધાન, માત્ર શાસ્ત્રપંક્તિઓને આધારે પરિપૂર્ણતાને પામી શકતું નથી. એ માટે વર્તમાનની પરંપરાઓ, તેના ઉદ્દગમસ્થાન, તેની પાછળના આશયો તથા જે તે વિધાનના મૂળભૂત રહસ્યો સુધી પહોંચવું જરૂરી હોય છે. તેના પ્રયત્નરૂપે સર્વપ્રથમ વિ.સં. ૨૦૬૬, કારતક સુદ-૧૧ના દિવસે સમગ્ર અમદાવાદના મુખ્ય-મુખ્ય ૨૫-૩૦ જેટલા વિધિકારકોનું સાબરમતી, અમદાવાદ મુકામે એક મિલન યોજાયું. તેમાં વર્તમાનકાળને અનુલક્ષીને કેટલીક બાબતોમાં વિશેષ વિચારણા કરવાનું તથા વિધિજ્ઞાતા ગીતાર્થ મહાપુરુષોના અભિપ્રાય લેવાનું નક્કી કરવામાં આવ્યું. તથા તે માટે સક્રિય પ્રયત્ન સ્વરૂપે અનેક આચાર્ય ભગવંતાદિના અભિપ્રાયો પણ મેળવવામાં આવ્યા. વિ. સં. ૨૦૬૭, અમદાવાદના સાબરમતી, તપોવન ખાતે સમસ્ત . મૂ. પૂ. તા. જૈન સંઘના અંજનશલાકા જેવા વિશિષ્ટ વિધાનો કરાવનારા અગ્રગણ્ય વિધિકારકોનું સંમેલન યોજવામાં આવ્યું. તેમાં અંજનશલાકા વિધાન અંતર્ગત ૧૮ અભિષેક બાબત પણ વિશેષ વિચારણા કરવામાં આવી. વળી, અખીલ ભારતીય અઢાર અભિષેક સમયે અમદાવાદમાંથી જેઓને ૧૮ અભિષેક કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા તેઓનું પણ એક મિલન વિ.સં. ૨૦૬૭માં શ્રી આંબાવાડી જૈન સંઘ મધ્યે અમદાવાદમાં કરવામાં આવ્યું, જેમાં ૧૮ અભિષેકના આવશ્યક સુધારા - વધારા બાબત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું.
પાંચ-પાંચ વર્ષની આ સુદીર્ઘ સંપાદનયાત્રાને અંતે અનેક શાસ્ત્રીય અને વ્યવહારિક ખલદસ્તામાં અનુભવના પુટ પામીને તૈયાર થયેલ આ ભાવરસાયણ સકળ શ્રી જૈન સંઘના હસ્તકમલમાં સાકાર થઈ રહ્યું છે, જેનો હૈયે અનહદ આનંદ છે.
શ્રી અઢાર અભિષેક વિધાના
શિલ્પ-વિધિ