________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 03. અન્યત્રથી સંકલિત કરેલું કદાચ હોય. મોહનભાઈ જબરા સંકલનકાર હતા એમ જણાય છે. એમનું વાચન વિશાળ હતું, સ્મૃતિ સતેજ હતી ને એટલાં ને એવાં મોટાં કામ એ હાથ પર લેતા હતા કે સંકલનનો સહારો લેવાનું એમને માટે સ્વાભાવિક બની જાય. પણ આ સંકલન પોતાના ધ્યેયને વશ વર્તીને ચોક્કસ દૃષ્ટિથી જ થયેલું છે. એમાં ક્યાંય શંભુમેળો નથી, જાતજાતના ટુકડા ભેગા સીવી બનાવેલો ચંદરવો નથી. સંકલન વિવેકપૂર્વક થયું છે, પોતાની માન્યતાને અનુરૂપ રીતે જ થયું છે અને મોહનભાઈના સમગ્ર લખાણમાં આવાં સંકલન એવાં હળીભળી જાય છે કે એમાં કશું પરાયાપણું કે ઉછીનું લીધાપણું પણ ભાસતું નથી. વસ્તુતઃ મોહનભાઈમાં સ્વતંત્ર વિચારશક્તિ નહોતી એવું તો કંઈ નથી. એમણે જાહેરજીવનમાં ભાગ લીધો છે, પત્રો ચલાવ્યાં છે ને એમાં પોતાના મંતવ્યો પ્રગટ કરવાના એમને અવસર આવ્યા છે. મોહનભાઈનું સમગ્ર જીવન પણ વિચારનિષ્ઠ જીવન હતું. પણ કદાચ સ્વભાવગત નમ્રતાને કારણે, કદાચ વિચાર સમર્થિત થાય, એને વધુ મહત્ત્વ પ્રાપ્ત થાય એ હેતુથી, કદાચ સમયાભાવે ગાંધીજી, કાલેલકર, સુખલાલજી વગેરે સંમાન્ય પુરુષોનાં (ને બીજા ઘણાનાં પણ) વચનો ઉદ્ધત કરીને એ પોતાની વાત ચલાવે છે. મોહનભાઈ જે કંઈ વિચારે છે એ એથી અળપાતું નથી, એ પ્રકાશિત થાય છે. વિચારની એક મુદ્રા મોહનભાઈનાં સર્વ લખાણોમાં આપણે જોઈ શકીએ છીએ. સર્વસંગ્રાહક વૃત્તિ મોહનભાઈના સ્વભાવમાં સંગ્રાહક વૃત્તિ છે. જે કંઈ સારું કે ઉપયોગી જણાયું એ સંઘરી લેવું. સંકલનશૈલીમાં આ સંગ્રાહક વૃત્તિનો હિસ્સો પણ હોય. મોહનભાઈનાં પુસ્તકોમાં જે પ્રસ્તાર દેખાય છે તે આ સંગ્રાહક વૃત્તિનું જ પરિણામ છે. વિષય અંગેની એટલી બધી સામગ્રી મોહનભાઈ જોઈ વળતા કે એમનું વિષયનિરૂપણ ભારે વિગતભર્યું બન્યા વિના ન રહે. પોતાની સજ્જતાને કારણે આનુષંગિક બાબતો ઉપર પ્રકાશ પાડવાનુંયે એ ઇચ્છે અને બીજાને અપ્રસ્તુત કે અસંગત લાગે એવી વિગતોને ટાળવાનું એમનાથી ના બની શકે. આને સંગ્રાહક વૃત્તિ નહીં, પણ સર્વસંગ્રાહક (એન્સાઇક્લોપીડિક)