________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા અખંડ કાર્ય પુસ્તકના રૂપે કરવું એ વિશેષ ઉપયોગી લાગે છે કારણકે માસિકનું સાહિત્ય સ્વતંત્ર લેખોથી અલ્પજીવી છે. (5) સંકુચિત દૃષ્ટિથી બદ્ધ થયેલા સમાજમાં સ્વતંત્ર લેખોથી ક્ષોભ કે અરુચિ ઉત્પન્ન કરવી તેના કરતાં જૈનેતર સમાજમાં જૈન અને જૈનધર્મની ઝળક બતાવે તેવા લેખો દ્વારા જૈન ધર્મ પ્રત્યે આદર ઉત્પન્ન કરવો એ વધારે ઉપયોગી છે. એવાએવા અનેક સંજોગો ને વિચારોથી વશ થઈ મારે આ એક રીતે કીમતી અને સમાજોપયોગી જગ્યા માટે રાજીનામું આપવું પડ્યું છે....” મોહનભાઈએ પરિસ્થિતિનું કેવું સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે ! એમાં એમની ઊંડી વિચારશીલતા વ્યક્ત થાય છે, જે આપણા મનમાં આદર જગવ્યા વિના રહેતી નથી. સામયિકોના સાહિત્યની અલ્પજીવિતા અંગેનું એમનું મંતવ્ય, એમનાં પોતાનાં ઘણાં લખાણો એમનાં માસિકપત્રોની ફાઈલોમાં દટાયેલાં પડ્યાં રહ્યાં છે એ જોતાં, આપણને ખરું લાગે. અને આવાં સામયિકો ચલાવવામાં એમણે જે વિષમતા અને દ્વિધાનો અનુભવ કર્યો એ સ્વાભાવિક લાગે. પણ ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે આવા સ્પષ્ટ અને સચ્ચાઈભર્યા આત્મકથન પછી મોહનભાઈ પાછું “જૈનયુગ'નું તંત્રીપદ તો સ્વીકારે છે. મોહનભાઈની સમાજનિષ્ઠા અને સેવાભાવના એમનાં દ્વિધા, મૂંઝવણ ને સંકોચ કરતાં બળવત્તર નીવડી એ જ એનું કારણ. દૃષ્ટાંતરૂપ પત્રકારત્વ સ્વતંત્રતા, સત્યનિષ્ઠા, સેવાભાવના અને વિદ્યાપ્રેમના ઉજ્વળ રંગોથી ચમકતું મોહનભાઈનું પત્રકારત્વ દૃષ્ટાંતરૂપ લેખાય એવું છે. (ગ) સાહિત્યકાર્ય વાણીપ્રતિમાનું માહાત્મ મોહનભાઈની સેવાનું મુખ્ય ક્ષેત્ર તો, અલબત્ત, સાહિત્ય જ છે. ગ્રેજ્યુએટ થતાંની સાથે છેક ૧૯૦૮માં એ “જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય” નામની લઘુ પુસ્તિકા પ્રગટ કરે છે એ બતાવે છે કે જેને વિશે એમણે સૌ પ્રથમ વિચારવું શરૂ કર્યું તે સાહિત્યનો વિષય જ છે. એ પુસ્તિકામાં એમણે જિનદેવની માત્ર મૂર્તિપ્રતિમાના સેવનનાં જ નહીં, વાણીપ્રતિમાના સેવનનાં પણ ફળ બતાવ્યાં છે ને વાણીપ્રતિમાનું માહાસ્ય કર્યું છે.