________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા નથી. માત્ર મોહનભાઈના અવસાન પછી છેક 11 વર્ષે તા.૧૫-૭-૧૯૫૬ના રોજ કૉન્ફરન્સમાં મોહનભાઈના તૈલચિત્રનું અનાવરણ પંડિત સુખલાલજીને હસ્તે થયેલું જાણવા મળે છે. જૈન સમાજ મોહનભાઈની કદર કરવામાં મોડો અને મોળો પડ્યો એમાં શંકા નથી. કદાચ વાણિજ્યરસિક જૈન સમાજને મોહનભાઈની અસાધારણ સેવાની સમજ પડી નથી. મોહનભાઈની સેવા એ સંકુચિત સાંપ્રદાયિક સેવા ન હતી. એ વિશાળ પ્રકારની વિદ્યોપાસના હતી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કામગીરી આજેયે મોહનભાઈના આધાર વિના ચાલી ન શકે એવો એમણે વિસ્તૃત અને દૃઢ પાયો નાખ્યો છે. એટલે સમગ્ર વિદ્યાસમાજનું પણ મોહનભાઈ પ્રત્યે કર્તવ્ય હતું. મોહનભાઈને નામે યુનિવર્સિટીમાં સ્વાધ્યાયપીઠ હોય એ એમનું, ઓછામાં ઓછું અપેક્ષિત, તર્પણ હોય. પણ આવું કશું થઈ શક્યું નથી. ક્યારેય થાય એવી સંભાવના દેખાતી નથી. એટલે શ્રી મહાવીર જૈન વિદ્યાલયે “જૈન ગૂર્જર કવિઓ'ની નવી આવૃત્તિના પ્રકાશનનું સાહસ કરી પિતૃઋણ યત્કિંચિત અદા કર્યું એનાથી આપણે સંતોષ માનવાનો રહે છે. અને મોહનભાઈએ જેમને પંદર વર્ષના છોડેલા એ એમના સૌથી નાના પુત્ર જયસુખભાઈએ પિતૃભક્તિથી પ્રેરાઈને પિતાના નામથી ગ્રંથપ્રકાશનાદિની પ્રવૃત્તિ કરવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એક લાખ રૂપિયાનું દાન આપ્યું તેને માટે ધન્યવાદ આપવાના રહે છે. જે સમાજે કરવું જોઈતું હતું તે સંતાને કર્યું ! મોહનભાઈ ને એમનાં સંતાનોએ હંમેશાં આપ્યું જ, કદી કંઈ લીધું નહીં ! પિતૃભક્ત જયસુખભાઈ ગુજરાતી સાહિત્યકોશ માટે “જૈન ગૂર્જર કવિઓનો ઉપયોગ કરવાનો થતાં મોહનભાઈ માટે અત્યંત આદર થયેલો. એમના જીવન અંગે કૌતુક પણ થયેલું. “જૈન ગૂર્જર કવિઓના પુનઃપ્રકાશનની યોજના થતાં એ કૌતુકને વેગ મળ્યો. આ સંદર્ભે ૧૯૮૬માં પ્રથમ વાર જયસુખભાઈને મળવાનું થયું. મેં વાતવાતમાં કહ્યું કે “જૈન ગૂર્જર કવિઓ'ના પુનઃપ્રકાશનની જવાબદારી તો શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઉપાડી પણ મોહનભાઈનાં બેચાર હજાર પાનાં થાય એટલાં લખાણો અગ્રંથસ્થ છે. એનું શું થાય ? જયસુખભાઈએ