________________ Ramayana એક બળકટ (Seminal) પુસ્તક આજે પણ છે તે હકીકત નકારી શકાશે નહીં. ગોલ્ડમેન અને બ્રોકીન્ટન જેવા વિદ્વાનોએ રામાયણ પરની સમીક્ષાના ક્ષેત્રમાં ઘણી નવી રસપ્રદ પ્રસ્થાપના કરી છે. તે સર્વનો આધાર લઈને યાકોબીનું ખંડન પણ થઈ શકે. તો કેટલીક બાબતમાં યાકોબી આજે લગભગ 112 વર્ષ પછી પણ અવિચલ છે તે તેમની મેધાને અંજલિ છે. અંગ્રેજી અનુવાદમાં પાદટીપ ક્રમાંકમાં ક્યાંક સરતચૂક છે તો ક્યાંક છાપભૂલ છે, ક્યાંક તર્કહીન અવ્યવસ્થા છે. તો આ ગુજરાતી અનુવાદમાં મૂળ ગ્રંથની આકૃતિને હાનિ ન પહોંચે તે રીતે થોડી સુધારવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક આજે તદ્દન અપ્રસ્તુત હોવાથી પાદટીપની વિગત છોડી પણ દીધી છે. આટલો ગુજરાતી અનુવાદકના પક્ષે ખુલાસો. આ સર્વે જેવું પણ સિધ્ધ થયું હોય તેવામાં એલ. ડી. ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડોલોજીના ગતિશીલ નિયામક આદરણીય શ્રી જિતેન્દ્ર શાહનો મોટો ફાળો છે. તેમણે મને અનુવાદ માટે પૂરાં પાડેલાં પ્રેરણા અને ચાલના વગર આ ગ્રંથનો અનુવાદ (જે કરવાનું ઘણા સમયથી મારા મનમાં હતું.) હું આ સમયમર્યાદામાં તો રજૂ કરી શક્યો ન જ હોત તે નિઃશંક છે. એટલે ડૉ. જિતેન્દ્ર શાહનો અંતઃકરણથી આભાર. અનુવાદની પ્રેસ નકલ તૈયાર કરી આપનાર મારાં વિદ્યાર્થિની શ્રી રાજવી ઓઝાનો પણ આભાર માનું છું. રામાયણના અભ્યાસમાં આ પુસ્તકનું નમ્રતાથી અને ભગવાન રામચન્દ્રને ભક્તિપૂર્વકનું અર્પણ કરી હું એક વિશેષ ભાવસ્થિતિમાં મુકાઉં છું. વિજયા દસમી, 2012 ડૉ. વિજય પંડ્યા (રાષ્ટ્રપતિ પુરસ્કૃત, 2010) ઓનરરી પ્રોફેસર એલ. ડી. ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડોલોજી, અમદાવાદ 380 009