________________ નિવેદન ઈ. સ. ૧૮૯૩માં પ્રકાશિત થયેલા ડૉ. હર્મન યાકોબીના મૂળ જર્મન ભાષામાં લખાયેલા Das Ramayana પુસ્તકના ડૉ. એસ. એન. ઘોસાલે કરેલા અંગ્રેજી અનુવાદની સહાયથી આ ગુજરાતી અનુવાદ વિદ્વાનો અને રામાયણ-અભ્યાસીઓ સમક્ષ મૂકતાં હું મૂળભૂત રીતે, ભક્તિભાવથી ભરેલો શ્રીભગવાન રામચન્દ્રને અર્થ અર્પણ કર્યાનો ભાવ અનુભવું છું. એમ કરી શક્યો તેનો આનંદ અને ગૌરવ તો હું અનુભવું જ. રામાયણ અભ્યાસીઓ માટે મૂળ ૧૮૯૩માં પ્રકાશિત થયેલું પુસ્તક આજે ઈ. સ. ૨૦૧૨માં પણ એટલું જ પ્રસ્તુત છે. વધુમાં ગુજરાતના વિદ્યાકીય ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાનું પ્રચલન ઓછું હોવાથી ઘણા અભ્યાસીઓ આ પુસ્તક અંગ્રેજીમાં હોવાથી ઉપયોગ કરી શકતા ન હતા અને રામાયણના અભ્યાસનો તો આ પુસ્તક પાયો છે, એમ કહીએ તો અતિશયોક્તિ નથી. એટલે મારી રામાયણપ્રીતિ એમ કહેતી હતી કે આ સૌ અભ્યાસી મિત્રો પણ આ ગ્રંથથી પરિચિત થાય એમ કરવું જોઈએ અને એટલે આનો અનુવાદ પ્રસ્તુત કરતાં એક વિદ્યાકીય ઋણ હું ફેડી રહ્યો છું એવી પણ મને અનુભૂતિ થાય છે. વાલ્મીકિ રામાયણનો સમીક્ષાત્મક અભ્યાસ (critical study) કેવી રીતે થઈ શકે એનું આ ગ્રંથ એક ઉજ્જવળ ઉદાહરણ છે. વિદ્યાકીય ક્ષેત્રમાં આધુનિક સમયમાં (પ્રાચીન સમયમાં પણ હતી જ) સમીક્ષાત્મક દૃષ્ટિ અત્યંત મહત્ત્વની છે, અને એના સિવાયનું સર્વ વિદ્યાકીય ક્ષેત્રમાં એકડા વગરના મીંડા જેવું છે. એટલે જો સમીક્ષાત્મક દૃષ્ટિ અભ્યાસીએ વિકસાવવી હોય તો આ ગ્રંથનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો જોઈએ. આ ગ્રંથનું સતત પરિશીલન કરવું જોઈએ. આજે યાકોબીએ પ્રસ્તુત કરેલાં કેટલાંક તારણો અને સ્થાપનાઓ ગ્રાહ્ય ઠરતાં નથી એ સાથે મતભેદ પણ રહેવાના, પણ યાકોબી પાસેથી આપણે કોઈ પણ ગ્રંથને કઈ રીતે સમીક્ષાત્મક દૃષ્ટિથી જોવો તે શીખી શકાય છે. યાકોબી પછી વાલ્મીકિ રામાયણ પર ઘણું કાર્ય થયું છે, અને યાકોબીની ઘણી સ્થાપનાઓ આજે ત્યાજય ઠરી છે. તો પણ આ The