________________
દરેક ભક્ત જાણે છે કે સીમંધર સ્વામી ભરતક્ષેત્રમાં આવે નહિ, આવી શકે નહિ, છતાં પ્રાર્થીએ છીએ : “શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો.” આ ખોટું ન કહેવાય. આપણો ઉપયોગ જ્યારે ભગવન્મય બન્યો ત્યારે આપણે સ્વયં ભગવાન બની ગયા. આને જ હૃદયમાં ભગવાન આવી ગયા કહેવાય.
ઘડાનું ધ્યાન ધરીએ તો આપણે ઘટમય બની ગયા. આપણો ઉપયોગ ઘટમય બની ગયો. ઘટમય કે ધનમય ઘણીવાર બનયા. હવે ભગવન્મય શા માટે ન બનવું ?
જ્ઞાનમાં એકાગ્રતા નથી હોતી, ધ્યાનમાં એકાગ્રતા હોય છે.
એટલે જ વીરવિજયજી કહે છે : તમે ધ્યેયરૂપે ધ્યાને આવો, શુભવીર પ્રભુ કરુણા લાવો;
નહિ વાર અચલસુખ સાવંતે, ઘડી દોય મળો જો એકાંતે...”
માત્ર બે ઘડી ભગવાનમાં આપણો ઉપયોગ રહે તો કામ થઈ જાય ! - એમ વીરવિજયજી કહે છે.
ભગવાનની ભક્તિ જેના હૃદયમાં નથી, તેના માટે ભગવાન દૂર છે. ભક્તિ છે તેના માટે ભગવાન હાજરાહજૂર છે.
ગોશાળાની પાસે જ ભગવાન હતા, છતાં ભાવથી દૂર જ હતા. સુલસા દૂર હતી છતાં પણ ભક્તિથી તેના માટે ભગવાન નજીક હતા. દૂર રહેલા ભગવાનને નજીક લાવવા, હૃદયમાં પધરાવવા એનું નામ ભક્તિયોગ. એના માટે જ લાખો - અબજો રૂપિયા ખર્ચીને આ મંદિરો બંધાવ્યા છે.
ભગવાન પ્રત્યે પ્રેમભાવ જાગ્યો તો બધા જ પૈસા વસૂલ ! બાકી જેનો ગાંડા નથી કે ક્રોડો રૂપિયા મંદિરોમાં લગાવે. જેનો સમૃદ્ધ છે તેનું કારણ પણ જિન-ભક્તિ અને જીવદયા છે.
તમે દાનનો પ્રવાહ ચાલુ રાખો તો લક્ષ્મી આવ્યા વગર નહિ રહે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
*
* *
*
* * * * * ૦૦૧