________________
૬૯૪ ]
[ મહામણિ ચિંતામણિ
આવા ગંભીર પ્રસંગથી પણ રેવતીનું મન ન પલળ્યું. એ તો કસાઇના જેવી કઠોરતા ધારણ કરીને, તપસ્વી મહાશતક પાસે પહોંચી ગઈ અને અશ્લીલ શબ્દો અને અશિષ્ટ ચેનચાળાથી એમની સાધનામાં ભંગ પાડવા પ્રયત્ન કરવા લાગી.
મહાશતક આ બધું આંતરિક બળ, વીર્ય અને પરાક્રમથી સહન કરી રહ્યા અને પોતાની છેલ્લી સાધનામાં ઊભા થયેલ વિપ્નને ટાળવાનો પુરુષાર્થ કરતા રહ્યા. પણ રેવતીના ચેનચાળાએ માઝા મૂકી એટલે મહાશતક પણ પોતાની સાધનાના માર્ગથી જરાક ચલિત થઈને આવેશમાં આવી ગયા.
અને એ આવેશમાં ને આવેશમાં આવી ઉત્કટ સાધનાને લીધે પોતાને પ્રગટેલ વિશિષ્ટ જ્ઞાનથી વસ્તુસ્થિતિને જાણીને, એમણે રેવતીને એના ભયંકર ભાવિની –એની ભાવી-નરક ગતિની – કડવી વાત સંભળાવી દીધી.
પોતાના હાથ હેઠા પડ્યા જાણીને રેવતી તો ત્યાંથી ચાલી ગઈ, પણ, ચંદ્ર ઉપરના રાહુના પડછાયાની જેમ, મહાશતકની સાધનાને દૂષિત કરતી ગઈ !
એ વખતે, ભગવાન મહાવીર એકવીસમું ચોમાસું વાણિજ્યગ્રામમાં વિતાવીને વિચરતા વિચરતા રાજગૃહીમાં પધાર્યા. એમણે જોયું કે થોડીક ભૂલને કારણે, એક ઉત્તમ જીવની કુંદન જેવી સાધનામાં કથીરની રેખાઓ ભળી રહી છે.
ભગવાન તો કરુણાના સાગર. એમણે ગૌતમને બોલાવીને મહાશતકની વાત કરી અને આદેશ કર્યો : “ગૌતમ ! મહાશતકને જઈને કહો કે મરણ સુધીનું અનશન સ્વીકારનાર શ્રમણોપાસક કોઇને સાચું છતાં અપ્રિય અને કડવું વચન કહે કે ક્રોધને વશ થાય તો એથી એની સાધના દૂષિત થાય છે. માટે તમારે રેવતીને કહેલાં કડવાં વચનોનું પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું ઘટે.”
ગૌતમસ્વામીએ સત્વર મહાશતક પાસે જઈને એમને ભગવાનનો સંદેશો કહ્યો.
મહાશતકે ઉલ્લાસપૂર્વક ભગવાનનો આદેશ શિરે ચડાવીને પોતે સેવેલ દોષનું તરત જ પ્રાયશ્ચિત્ત કર્યું.
મહાશતકનું રોમરોમ ભગવાન તરફની કૃતજ્ઞતાથી ઊભરાઈ ગયું-જાણે એમનું અંતર કહેતું હતું : કરુણાનિધિ ભગવાન ! સંસારકીચમાં ડૂબતો ભલો ઉગારી લીધો આ સેવકને ! ભગવાનના સંદેશવાહક ગૌતમ પણ કૃતાર્થતા અનુભવી રહ્યા.
(૪) શંકાનું સમાધાન રાજગૃહની નજીકમાં તંગિયા નામે નગરી હતી. એ નગરીમાં સુખી અને ધર્મતત્ત્વના | જાણકાર અનેક શ્રમણોપાસકો રહેતા હતા. એક વાર એ નગરીમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના પાંચસો જેટલા સાધુઓ પધાર્યા અને નગરના પુષ્પવતી ચૈત્યમાં ઊતર્યા. તેઓ ! સંયમી, જ્ઞાની, તપસ્વી, સુવતી અને ગુણોના ભંડાર હતા.
આવા ગુણવંત મુનિવરોને પોતાના નગરમાં પધાય જાણીને બધા શ્રાવકો ખૂબ હર્ષિત થયા. તેઓ વંદન, ભક્તિ અને ધર્મશ્રવણ કરવા એ મુનિવરો પાસે પહોંચી ગયા અને એ