________________
૬૮ ]
[ અણગારનાં અજવાળા
શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ
| (લીબડી સંપ્રદાય) ભારતની પશ્ચિમે આવેલો કચ્છ પ્રદેશ ત્યાંનાં લોકોની સાહસિકતા, શૂરવીરતા અને સરળતા માટે જગતમાં પ્રસિદ્ધ છે. રણ પ્રદેશની આ કઠોરભૂમિમાં રહેતાં મનુષ્યોનાં હૃદય કોમળ હોય છે, પણ તેમની જીવનચર્યા કડક છે. આ કચ્છના ભોરારા ગામે વિશા ઓસવાળનું એક પ્રતિષ્ઠિત કુટુંબ વસતું હતું. તેમાં ગૃહસ્વામી શ્રી વિરપાળ શેઠ અને ગૃહલક્ષ્મી લક્ષ્મીબાઈનું સાત્ત્વિક અને પ્રસન્ન દાંપત્યજીવન બે દીકરાઓના જન્મથી ધન્ય બન્યું. મોટાનું નામ નથુભાઈ અને નાનાનું નામ રાયશીભાઈ. આ નાના દીકરા રાયશીભાઈ જ પાછળથી શ્રી રત્નચંદ્રજી મહારાજ તરીકે જાણીતા બન્યા. તેમનો જન્મ વિ.સં. ૧૯૬૩ના વૈશાખ સુદ ૧૦ને દિવસે ભોરારા ગામમાં થયો હતો.
બાલ્યકાળ-વેપારનો પ્રારંભ : એ જમાનામાં કેળવણીનો પ્રચાર ઘણો ઓછો હતો અને તેમાં વળી કચ્છનો પછાત વિસ્તાર! તેથી રાયશીને ગામઠી શાળામાં જ કેળવણી માટે મૂકવામાં આવ્યો. ભણવામાં રાયશી તેજસ્વી હતો. તેની સ્મરણશક્તિ ઘણી સારી હતી. દસ વર્ષની વયે સાતમી પરીક્ષા પાસ કર્યા પછી ઉચ્ચ કેળવણીની વ્યવસ્થા ન હોવાથી કુટુંબીઓએ બને પુત્રોને વેપારધંધાની તાલીમ અર્થે મુંબઈ મોકલી દીધા. આમ દસ વર્ષની નાની ઉંમરે પોતાના મોટાભાઈ નથુભાઈ સાથે રાયશીભાઈ અનાજના વેપારમાં જોડાયા. ગંભીર સ્વભાવના રાયશીભાઈ રમતગમત કે ખેલકૂદને બદલે વેપારમાં ઠીક ઠીક સ્થિર થયા. વેપાર અંગે કોઈ કોઈ વાર તેમને ઇન્દોર નજીક આવેલા સનાવદ ગામે જવું પડતું અને રહેવું પડતું. આ દરમિયાન તેમણે તારટપાલ ઉકેલવા જોણું અંગ્રેજીનું જ્ઞાન મેળવી લીધું. અહીં તેઓએ એક વર્ષ અનાજના વેપારનો અનુભવ લઈને મુંબઈમાં એક કચ્છી વેપારી શ્રી કેશવજી દેવજી સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કર્યો. આમ ૧૨ વર્ષની વયે પહોંચતા સુધીમાં તો તેમણે ધનોપાર્જનમાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા મેળવી લીધી.