________________
૩૦ ]
[ અણગારનાં અજવાળા
તપસ્વી પૂ. માણેકચંદજી મહારાજ
ભારતવર્ષનું સ્થાન વિશ્વમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ અજોડ છે. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો એક વિશિષ્ટ વારસો આ દેશમાં જળવાઈ રહ્યો છે. વિશ્વના ઇતિહાસમાં આધ્યાત્મિક ઉત્ક્રાંતિ સર્જનાર ભારતવર્ષ છે. દર્શન સાહિત્યમાં વિશિષ્ટ આત્મચિંતનની દેણ ભારતના મનીષીઓ, ઋષિઓ અને સત્પુરુષોની છે.
એવા પવિત્ર ભારતભૂમિના પશ્ચિમ દિગ્વિભાગમાં આવેલ સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે. આ ધન્ય સૌરાષ્ટ્રની ધરણીએ તેજસ્વી રણવીરો, યશસ્વી ધર્મ પ્રવર્તકો અને ઓજસ્વી યુગપુરુષોને જન્મ આપી સૌરાષ્ટ્રને સમગ્ર ભારતનું આકર્ષણનું કેન્દ્ર બનાવેલ છે.
પ્રાતઃ સ્મરણીય, પરમ વંદનીય પૂ. માણેકચંદ્રજી મહારાજ, જૈન અને જૈનેતરોમાં ઘણું ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. પૂજ્યશ્રીના જીવન વિશે, સંક્ષેપમાં મહત્ત્વની જીવન વિગતો દર્શાવવાનો મુખ્ય આશય છે. તેઓશ્રીના મહાન પ્રેરણાદાયક જીવનમાંથી આજની પેઢી એકાદ અંશ પણ સ્વીકારે તો પણ તેનું જીવન ધન્ય બની રહે તેવી ઉત્તમ ગુણસમૃદ્ધ સભર પૂજ્યશ્રીનાં ચરણોમાં વંદન.
સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ–જેતપુરની ભૂમિ તેની જન્મભૂમિ છે.
સાંસારિક પિતા શ્રી પ્રેમજીભાઈ ખેતસી ગાંધી, સરળ સ્વભાવી, ધર્મના રંગે રંગાયેલ, ઈશ્વરનિષ્ઠ સદ્ગૃહસ્થ હતા. તેઓ પ્રામાણિકતાથી વ્યાપારથી આજીવિકા મેળવતા હતા. નીતિથી સંતોષમય જીવન જીવતા હતા. સાધુજનોની સેવાભક્તિ, ધર્માચરણ, આત્મસંતોષ તેમના વ્યક્તિત્વના મુખ્ય આલોક અંગો હતા. વ્રતધારી શ્રાવકમાં સંભવિત કષાયમંદતા અને નિર્મળતા તેમના જીવનમાં જોઈ શકાતી હતી. સંત સાન્નિધ્ય અને શાસ્રશ્રવણ તેમની પ્રિય પ્રવૃત્તિ હતી. આ ધર્મનિષ્ઠ શ્રાવકનું, કુટુંબ અને સમાજમાં ઘટતું મહત્ત્વનું સ્થાન હતું. સાદું-સાત્ત્વિક અને અનુકરણીય જીવન તેઓ વ્યતીત
કરતા હતા.
શ્રી પ્રેમજીભાઈના પાપભીરુ ગૃહિણી, વ્યવહાર કુશળ શ્રી કુંવરબાઈ નામનાં ધર્મપરાયણ પત્ની હતાં. તેઓનું દાંપત્યજીવન ધર્મપરાયણ અને