________________
[ ૩૧
અણગારનાં અજવાળા ] સંતોષી હતું. ધર્મના સંસ્કારો પૂર્વનાં પુણ્યથી સહજ પ્રાપ્ત હતા. ત્યાગ, તપ અને સંવેગ, નિર્વેદ વગેરે ગુણની વૃદ્ધિ થતી હતી. ધર્મની સમજણને કારણે પૈસાની તૃષ્ણા કે ઝંખના એમને સતાવતા ન હતાં. સાધુ પુરુષોના સમાગમથી આ દંપતિના અધ્યાત્મનેત્રો ઊઘડ્યાં હતાં.
આ સગુણશીલ દંપતી, પોતાના શાંત અને આનંદપૂર્ણ જીવનને સંતોષ સાથે કલાત્મક રીતે જીવી રહ્યા હતા. આ દંપતીને ઘેર અનુક્રમે ત્રણ પુત્રો શ્રી જયચંદભાઈ, શ્રી માણેકભાઈ, શ્રી માવજીભાઈ તથા એક પુત્રી ઉજમબાઈનો જન્મ થયો. સૌથી મોટા જયચંદભાઈ તે પછી ઉજમબાઈનો જન્મ થયો હતો. માણેકચંદભાઈ ત્રીજું સંતાન અને સૌથી નાના માવજીભાઈ. માતાપિતાના લાડકોડ અને સ્નેહ પૂરેપૂરો માણે તે પહેલાં પિતા પ્રેમજીભાઈનું અને બે વર્ષ પછી માતા કુંવરબાઈનું અવસાન થયું.
માતાના આ ઉમદા વિચારોને સમજી શકે તેવી પંદર વર્ષની ઉંમર, શ્રી જયચંદભાઈની હતી અન્ય ત્રણ બાળકો વયમાં ખૂબ નાના હતા. પરંતુ માતાનો ઉત્તમ સંસ્કાર વારસો પૂ. માણેકચંદ્રજી મહારાજ સાહેબે દીપાવ્યો છે. ભવિષ્યમાં ઉત્તમ ગુણસંપત્તિના સ્વામી થવાના છે તેનું મંગલ બીજારોપણ માતાએ કર્યું છે. માતાના મૃત્યુથી બાળકો સાવ નોધારા બની ગયા. માની વસમી વિદાય ડગલે ને પગલે સાલવા લાગી. માના વિયોગનું હૃદયવિદારક આઝંદ મોસાળ પક્ષને વધારે પડવા લાગ્યું અને બાળકોને મોસાળ લઈ જવાનો નિર્ણય થયો. મોટા જયચંદભાઈ બિલખા નોકરી કરવા ગયા અને અન્ય ત્રણેય બાળકો મોસાળ ગયા.
પૂ. દેવજીસ્વામીનાં દર્શન અને ચિંતનસભર પ્રવચનનો લાભ જયચંદભાઈને મળે છે. વીતરાગ વાણીનું શ્રવણ તેમના આત્માને જાગૃત કરે છે. તેમનામાં વૈરાગ્યભાવ તીવ્રરૂપ ધારણ કરે છે. “ગુરુચરણનું શરણ એક માત્ર જીવન ધ્યેય બને છે. દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કરે છે. પરંતુ વડીલોમાંથી કોઈની આજ્ઞા મળતી નથી. છતાં હૃદયથી ઇચ્છે છે કે ત્રણેય ભાઈઓ જો વૈરાગી બની જાય તો કામ સરળ બની જાય. પરંતુ વિધિની વિચિત્રતા કોણ પામી શક્યું છે? શીતળાના રોગમાં બહેન કુંવરબાઈ અને ભયંકર તાવની બીમારીમાં નાનાભાઈ માવજીભાઈનું અવસાન થયું છે.