________________
૧૨૨ ]
[ અણગારનાં અજવાળા
ભેદવિજ્ઞાન : અપૂર્વ શાંતિ, સમતા, ક્ષમા અને સહનશીલતાની જ્યોત તેમનામાં પ્રગટવા લાગી. તેના જ પ્રકાશપુંજના માર્ગે તેઓ પ્રવ્રજ્યાના પંથે પગલાં ભરતાં રહ્યાં અને આત્માને ઉજ્વલ પરમ પંથ તરફ દોરતાં રહ્યાં. જ્ઞાનમાર્ગ કરતાં મોહનીય કર્મના ક્ષયોપશમ તરફ તેમણે વધુ લક્ષ આપવા માંડ્યું. દેહ અને આત્માના ભેદવિજ્ઞાનને સ્વીકારતાં દેહાસક્તિના તેમના ભાવો ઓસરવા માંડ્યા. યુવાનીનો ઉંબરો ઓળંગી હવે તેમનું વૃદ્ધ શરીર પણ ધ્યાનમગ્ન દશામાં રહી મેરુ સમાન અડોલ અવસ્થાને પ્રાપ્ત કરતું રહ્યું.
ખરેખર એવું જ બન્યું! એક મધ્યરાત્રિએ જ્યારે જગત આખું ભરનિંદ્રાનું સુખ માણી રહ્યું હતું ત્યારે પૂ. શ્રી હીરુબાઈ સ્વામી ગોંડલના ઉપાશ્રયની ઓસરીમાં આસન લગાવી ધ્યાનસ્થ દશામાં બેઠાં હતાં. ત્યાં એક શિયાળ આવ્યું. પોતાના તીક્ષ્ણ નખો વડે પૂ.શ્રીના દેહની ચામડી ઉતરડતું ગયું. દાંતથી તે શિયાળ માંસ કાપતું ગયું અને ખાતું ગયું. પૂ. શ્રી આવેલ ઉપસર્ગને સમતાભાવે સહી ભવોનાં સંચિત કર્મોને ખપાવતાં ગયાં. ત્રણ કલાકે સમાધિ પૂરી થતાં અન્ય સાધ્વીજીઓને પોતે લોહીભીના કપડાં બદલી આપવાની ભલામણ કરી ત્યારે જ તે દુઃખદ પ્રસંગની સાધ્વી સમુદાયને ખબર પડી હતી. ન બૂમો, કે ન ચીસ કે ન વેદનાનો એક પણ ઊંહકારો.
અંતિમ સમાધિ પૂ.શ્રીના અનશનના ભાવો જાણી પૂ.શ્રી ડુંગરશીજી સ્વામીને જાણ કરવામાં આવી. તેઓશ્રી ઉગ્ન વિહાર કરી આવી પહોંચ્યા અને પૂ.શ્રી હીરુબાઈને વિસ્તારપૂર્વક મહાવ્રતોના સૂક્ષ્મભાવોની આલોચના કરાવી. રોજ સ્વાધ્યાય સંભળાવતા રહ્યા અને ૫૮ દિવસનો દીર્ધ સંથારો કરી પૂ.શ્રી હીરુબાઈનો આત્મા નશ્વરદેહનો ત્યાગ કરી પરલોકે પ્રયાણ કરી ગયો.
આપને અમારાં અગણિત વંદન હો!
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगत स्पृहः । नैष्कर्म्यसिद्धिं परमा सन्यासेनाऽधिगच्छतिः ।
આત્મજિત, નિસ્પૃહ અને અનાસક્ત સાધક સંન્યાસ દ્વારા નિષ્કર્મા બની પરમ સિદ્ધિને પામે છે અને સંસારનાં બંધનોથી મુક્ત થાય છે.