________________
[ઉપાધ્યાયજીને મારએજલિ. એક પ્રવચનમાળાને પરિણામે સમૃદ્ધ સાહિત્યિક સામગ્રી ધરાવતા ગ્રંથનું સર્જન થાય ત્યારે સ્વાભાવિક રીતે જ આનંદ જાગે. અમદાવાદમાં શ્રી યશોભારતી જૈન પ્રવચનમાળાનું આયોજન થયું. પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ના ત્રિશતાબ્દી વર્ષને અનુલક્ષીને પ્રવચનમાળાનું આયોજન થયું. એ નિમિત્તે અનેક વિદ્વાન સાધુ મહારાજે અને અભ્યાસીઓએ પોતાનાં વક્તવ્યો રજૂ કર્યા.એ વક્તવ્યોને ગ્રંથરૂપે પ્રકાશિત કરીને સમાજને સદાને માટે એનો લાભ મળતો રહે તેવી પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. પ્રેરણા આપી અને એમની પ્રેરણાના પરિણામે આ ગ્રંથનું સર્જન થયું છે.
શ્રી યશોભારતી જૈન પ્રવચનમાળામાં જેઓએ જ્ઞાનસરવાણી વહાવી હતી એ સહુના પ્રવચનો મેળવવા માટે સતત પુરુષાર્થ કર્યો. આમ છતાં એક-બે વક્તવ્ય નિશ્ચિત સમયમર્યાદામાં મળ્યાં નહિ અને તેથી અમે એને પ્રકાશિત કરી શક્યા નથી. આ કાર્યમાં પૂ. આ. શ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો પણ સહયોગ સાંપડ્યો. એની પાછળ પ. પૂ. મુનિરાજશ્રી અનંતચંદ્ર વિજય મ.સા.ની પ્રેરણા ન હોત તો આ કામ શક્ય બન્યું હોત નહીં. આ ગ્રંથમાં પૂ.આ. યશોદેવસૂરી સંપાદિત “ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ,” “પ્રબુદ્ધ જીવન” તેમ જ “શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ'માંથી લીધેલા લેખ અંગે સૌજન્ય પ્રગટ કરીએ છીએ. આ કાર્યમાં જે જે શ્રીસંઘોએ સહયોગ આપ્યો છે, એમને અમે કેમ ભૂલી શકીએ?
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પછી છેલ્લાં આઠસો વર્ષમાં કોઈ એક જૈન જ્યોતિર્ધરનું નામ વિચારીએ તો તરત જ સ્મરણપટ પર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની સ્મૃતિઓ તરવરે છે. સંસ્કૃત, પ્રાકૃત અને તત્કાલીન ગુજરાતી ભાષામાં અનેક સમર્થ કૃતિની તેઓએ રચના કરી. સાહિત્યના ક્ષેત્રમાં ઉપાધ્યાયજી મહારાજ કહીએ એટલે ઉપાધ્યાય યશોવિજયજી એમ તરત જ સમજાઈ જાય. ઉપાધ્યાય મહારાજનું જીવન પણ અતિ ભવ્ય હતું. આજે પણ અમદાવાદના તિલક માર્ગ પર આવેલા ઉપાધ્યાય યશોવિજયજી ચોક કે તેમના જન્મસ્થાન કનોડમાં આવેલું સરસ્વતી મંદિર તેઓના ભવ્ય જીવન અને ગહન દર્શનચિંતનનું સ્મરણ કરાવે છે.
-કુમારપાળ દેસાઈ