________________
જિનબિંબ.
૩૧૧
પ્રભાવતી દેવતાએ વિષ અપહરી ફરીથી દહીં લેવાની મનાઈ કરી. દહીંનો ખોરાક બંધ થવાથી પાછો મહાવ્યાધિ વધ્યો. દહીંનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહર્યું. એક વખતે પ્રભાવતી દેવતા પ્રમાદમાં હતો ત્યારે વિષમિશ્રિત દહીં ઉદાયનમુનિના આહારમાં આવી ગયું. પછી એક માસનું અનશન કરી કેવળજ્ઞાન થયે ઉદાયન રાજર્ષિ સિદ્ધ થયા. પછી પ્રભાવતી દેવતાએ રોષથી વીતભયપત્તન ઉપર ધૂળની વૃષ્ટિ કરી અને ઉદાયન રાજાનો શય્યાચર એક કુંભાર હતો, તેને સિનપલ્લીમાં લઈ જઈ તે પલ્લીનું નામ કુંભારકૃત પલ્લી એવું રાખ્યું.
ઉદાયન રાજાનો પુત્ર અભીચિ, પિતાએ યોગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુ:ખી થયો અને તેની માસીના પુત્ર કૌણિક રાજાની પાસે જઈ સુખે રહ્યો. ત્યાં સમ્યગ્ પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતો હતો તો પણ “પિતાએ રાજ્ય ન આપી મારું અપમાન કર્યું” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વૈરની આલોચના કરી નહિ. તેથી પંદર દિવસના અનશનવડે મરણ પામી એક પલ્યોપમ આયુષ્યવાળો શ્રેષ્ઠ ભવનપતિ દેવતા થયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે.
પ્રભાવતી દેવતાએ ધૂળની વૃષ્ટિ કરી ત્યારે ભૂમિમાં દટાઈ ગયેલી કપિલકેવળી પ્રતિષ્ઠિત પ્રતિમા કુમારપાળ રાજાએ ગુરુના વચનથી જાણી પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખોદાવી ત્યારે અંદરથી પ્રતિમા પ્રગટ થઈ અને ઉદાયને આપેલો તામ્રપટ્ટ પણ નીકળ્યો. યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલપુર પાટણે લઈ આવ્યો. નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી અને ઉદાયન રાજાએ તામ્રપટ્ટમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબૂલ રાખી ઘણા વખત સુધી તે પ્રતિમાની પૂજા કરી. તેથી તેની સર્વ પ્રકારે વૃદ્ધિ થઈ. આ રીતે દેવાધિદેવની પ્રતિમાનો તથા ઉદાયન રાજા વગેરેનો સંબંધ કહ્યો છે.
આવી રીતે દેવને ગરાસ આપવાથી નિરંતર ઉત્તમ પૂજા વગેરે તથા જિનમંદિરની જોઈએ તેવી સાર-સંભાળ, રક્ષણ આદિ પણ સારી યુક્તિથી થાય છે. કેમકે જે પુરુષ પોતાની શક્તિ પ્રમાણે ઐશ્વર્યવાળું જિનમંદિર કરાવે તે પુરુષ દેવલોકમાં દેવતાઓએ વખાણેલ એવો ઘણા કાળ સુધી પરમસુખ પામે છે.
છઠ્ઠું દ્વાર
જિનબિંબ.
રત્નની, ધાતુની, ચંદનાદિ કાષ્ઠની, હસ્તિદંતની, શિશાની અથવા માટી વગેરેની જિનપ્રતિમા યથાશક્તિ કરાવવી. તેનું પરિમાણ જઘન્ય અંગુઠા પ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય જાણવું. કહ્યું છે કે જે લોકો સારી વૃત્તિકાનું, નિર્મળ શિલાનું, હસ્તિદંતનું, રૂપાનું, સુવર્ણનું, રત્નનું, માણેકનું અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ મુજબ આ લોકમાં કરાવે છે તે લોકો મનુષ્યલોકમાં તથા દેવલોકમાં પરમ સુખ પામે છે. જિનબિંબ કરાવનાર લોકોને દારિદ્ર, દુર્ભાગ્ય, નિંઘ જાતિ, નિંઘ શરીર, માઠી ગતિ, દુર્ગતિ, અપમાન, રોગ અને શોક ભોગવવાં પડતાં નથી.