________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ
૩૧૦
એવાં ત્રણ તળાવો ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાનો અવસર આવ્યો ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાનો ઠરાવ કરેલો હોવા છતાં ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ હાથી ઉપર બેસીને આવ્યો તેથી ચંડપ્રદ્યોતને પ્રતિજ્ઞા-ભંગદોષ લાગ્યો. પછી હાથીના પગ શસ્રવડે વિંધાયાથી તે પડ્યો ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને બાંધી તેના કપાળે આ મારી દાસીનો પતિ એવી છાપ ચોડી.
પછી ઉદાયન રાજા ચંડપ્રદ્યોતને સાથે લઈ પ્રતિમા લેવા માટે વિદિશા નગરીએ ગયો. પ્રતિમાનો ઉદ્ધાર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો તથાપિ તે કિંચિત્ માત્ર પણ સ્થાનકથી ખસી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે “હું જઈશ તો વીતભયપત્તનમાં ધૂળની વૃષ્ટિ થશે માટે હું આવતી નથી.’ તે સાંભળી ઉદાયન રાજા પાછો વળ્યો. રસ્તામાં ચોમાસું આવ્યું ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો. સંવત્સરીપર્વને દિવસે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો. રસોઈયાએ ચંડપ્રદ્યોતને પૂછ્યું કે આજે રસોઈ શી કરવાની ? ચંડપ્રદ્યોતના મનમાં ‘એ મને કદાચ અન્નમાં વિષ આપશે’ એવો ભય ઉત્પન્ન થયો.
તેથી તેણે કહ્યું કે તે ઠીક યાદ કરાવ્યું, મારે પણ ઉપવાસ છે, મારા માતા-પિતા શ્રાવક હતા.’ તે જાણી ઉદાયને કહ્યું કે, “એનું શ્રાવકપણું જાણ્યું. તથાપિ તે જો એમ કહે છે તો તે નામ માત્રથી પણ મારો સાધર્મી થયો માટે તે બંધનમાં હોય ત્યાં સુધી મારૂં સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય ?’” એમ કહી ઉદાયને ચંડપ્રદ્યોતને બંધનમાંથી મુકત કર્યો, ખમાવ્યો અને કપાળે લેખવાળો પટ્ટ બાંધી અવંતીદેશ આપ્યો.
ઉદાયન રાજાના ધર્મિષ્ઠપણાની તથા સંતોષ વગેરેની જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી છે. ચોમાસું પૂરું થયા પછી ઉદાયન રાજા વીતભયપત્તન ગયો. સેનાને સ્થાનકે આવેલા વણિક લોકોના રહેઠાણથી દશપુર નામે એક નવું નગર વસ્યું. તે નગર ઉદાયન રાજાએ જીવંતસ્વામીની પૂજાને માટે અર્પણ કર્યું. તેમજ વિદિશાપુરીને ભાયલસ્વામીનું નામ દઈ તે તથા બીજાં બાર હજાર ગામ જીવંતસ્વામીની સેવામાં આપ્યાં.
હવે ઉદાયન રાજા, પ્રભાવતીનો જીવ જે દેવતા. તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતો હતો. એક વખતે પિક્ષ પૌષધ હોવાથી તેણે રાત્રિજાગરણ કર્યું. ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દૃઢ પરિણામ ઉત્પન્ન થયા. પછી પ્રાતઃકાળે તેણે કપિલકેવળીએ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાને માટે ઘણા ગામ, આકર, પુર વગેરે આપ્યાં. “રાજ્ય અંતે નરક આપનારૂં છે માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપું ?' મનમાં એવો વિચાર આવ્યાથી રાજાએ કેશિ નામના પોતાના ભાણેજને રાજ્ય આપ્યું અને પોતે શ્રીવીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશિ રાજાએ દીક્ષા ઉત્સવ કર્યો.
એક વખતે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાજર્ષિના શરીરે મહાવ્યાધિ ઉત્પન્ન થયો. “શરીર એ ધર્મનું મુખ્ય સાધન છે.” એમ વિચારી વૈઘે ભક્ષણ કરવા કહેલા દહીંનો જોગ મળે તે માટે ગોવાળોના ગામોમાં મુકામ કરતા તે વીતભયપત્તને ગયા. કેશી રાજા ઉદાયનમુનિનો રાગી હતો. તો પણ તેના પ્રધાન વર્ગે તેને સમજાવ્યો કે, “ઉદાયન રાજ્ય લેવા માટે અહીં આવ્યો છે.” પ્રધાનોની વાત ખરી માનીને કેશી રાજાએ ઉદાયનમુનિને વિષમિશ્રીત દહીં અપાવ્યું.