________________
૩૦૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ ઉત્પન્ન થયેલ મનુષ્ય બે વાત જરૂર શીખવી જોઈએ. (૧) જેથી પોતાનો સુખે નિવાહ થાય અને (૨) મરણ પછી સદ્ગતિ પામે. નિંદ્ય અને પાપમય વ્યાપાર વડે નિર્વાહ કરવો અનુચિત છે. મૂળ ગાથામાં “ઉચિત પદ છે માટે નિંદ્ય તથા પાપમય વ્યાપારનો નિષેધ થયો એમ જાણવું.
તૃતીયદ્વાર પાણિગ્રહણ.
પાણિગ્રહણ એટલે વિવાહ. તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ છે માટે ઉચિતપણાથી કરવો જોઈએ. તે (વિવાહ) પોતાથી જુદા ગોત્રમાં થયેલા તથા કુલ, સારો આચાર, શીલ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પોતાની બરાબરીના હોય તેમની સાથે જ કરવો. બન્નેનાં કુળ, શીલ વગેરે સરખાં ન હોય તો અંદરો-અંદર હીલના, કુટુંબના કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે.
જેમ પોતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદરસહિત કોઈ અન્ય ધર્મીની સાથે પરણી હતી. તે ધર્મમાં ઘણી દઢ હતી પણ તેનો પતિ પરધર્મી હોવાથી તેના ઉપર રાગ રહિત થયો. એક વખતે પતિએ ઘરની અંદર ઘડામાં સર્પ રાખી શ્રીમતીને કહ્યું કે, “ફલાણા ઘડામાં પુષ્પની માળા છે તે લાવ.” નવકાર સ્મરણના મહિમાથી સર્પ મટી પુષ્પમાળા થઈ. પછી શ્રીમતિના પતિ વગેરે લોકો શ્રાવક થયા. બન્નેનાં કુલ, શીલ વગેરે સરખાં હોય તો ઉત્તમ સુખ, ધર્મ તથા મોટાઈ આદિ મળે છે. એ ઉપર પેથડશેઠ તથા પ્રથમિણી સ્ત્રી વગેરેનાં દૃષ્ટાંત સમજવાં. વર કન્યાના ગુણદોષ.
સામુદ્રિકાદિ શાસ્ત્રોમાં કહેલા શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાની તપાસ વગેરેથી કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે, ૧. કુલ, ૨. શીલ, ૩. સગાંવહાલાં, ૪. વિદ્યા, ૫. ધન, ૬. શરીર અને ૭. વય એ સાતગુણ વરમાં કન્યાદાન કરનારે જોવાં. એ ઉપરાંત કન્યા પોતાના ભાગ્યના આધાર ઉપર રહે છે.
મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારો, શૂર, મોક્ષની ઇચ્છા કરનારો અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉંમરવાળો એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ઘણું આશ્ચર્ય લાગે એટલી સંપત્તિવાળો, ઘણો જ ઠંડો અથવા ઘણો જ ક્રોધી, હાથ, પગે અથવા કોઈપણ અંગે અપંગ તથા રોગી એવા વરને પણ કન્યા ન આપવી. કુળ તથા જતિવડે હીન, પોતાના માતા-પિતાથી છૂટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હોય એવા વરને કન્યા ન આપવી. ઘણું વૈર તથા અપવાદવાળા, હંમેશાં જેટલું ધન મળે, તે સર્વનું ખરચ કરનારા, આળસથી શૂન્ય મનવાળા એવા વરને કન્યા ન આપવી. પોતાના ગોત્રમાં થયેલા, જુગાર, ચોરી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી.
પોતાના પતિ વગેરે લોકોની સાથે નિષ્કપટપણે વર્તનારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી, સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, બંધુવર્ગ ઉપર સ્નેહવાળી અને હંમેશાં પ્રસન્ન મુખવાળી એવી કુલીન સ્ત્રી હોય છે. જે પુરુષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથા પિતા ઉપર ભક્તિ કરનારા હોય, સ્ત્રી