________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૨૧૦
પણ ધર્માચાર્યે કરેલા સમ્યક્ત્વ આદિ ઉપકારને નિરંતર સંભારે. ઇત્યાદિ ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ જાણવું.
સ્વ-નગર-નિવાસીઓનું ઉચિત.
પુરુષ જે નગરમાં પોતે રહેતો હોય, તે જ નગરમાં બીજા જે વણિકવૃત્તિથી આજીવિકા કરનારા લોકો રહેતા હોય તે “નાગર’” એવા નામથી કહેવાય છે. નાગર લોકોના સંબંધમાં યોગ્ય આચરણ આ રીતે જાણવું. નગરમાં રહેનાર લોકોને દુઃખ આવે પોતે દુઃખી થવું તથા સુખ આવે પોતે સુખી થવું, તેમજ તેઓ સંકટમાં હોય તો પોતે પણ સંકટમાં પડ્યા હોય એમ વર્તવું. તથા તેઓ ઉત્સવમાં હોય તો પોતે પણ ઉત્સવમાં રહેવું. એમ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાના લોકો જો કુસંપમાં રહે તો રાજાના અધિકારીઓ તેમને, શિકારીઓ જેમ મૃગલાઓને જાળમાં ફસાવે છે તેમ સંકટમાં ઉતારે. મોટું કાર્ય હોય તો પણ પોતાની મોટાઈ વધારવા સારૂં સર્વે નાગરોએ રાજાની ભેટ લેવા જુદા જુદા ન જવું. કાંઈ કામની છાની મસલત કરી હોય તો તે ઉઘાડી ન પાડવી તથા કોઈએ કોઈની ચાડી ન કરવી.
એકેક જણ જુદો જુદો રાજાને મળવા જાય તો તેથી બીજાના મનમાં વૈર વગેરે પેદા થાય છે માટે સર્વેએ ભેગા થઈને જવું. તથા સર્વેની યોગ્યતા સરખી હોય તો પણ યવનની જેમ કોઈને પણ મુખ્ય કરી સર્વેએ તેની પછવાડે રહેવું. પણ રાજાના હુકમથી મંત્રીએ પરીક્ષા કરવા આપેલી એક શય્યા ઉપર સર્વે સુવાને માટે વિવાદ કરનારા પાંચસો મૂર્ખની જેમ કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનંતિ વગેરે કરવા ન જવું. કેમકે ગમે એવી અસાર વસ્તુ હોય તો પણ તે જો ઘણી ભેગી થાય તો તેથી જય થાય છે. જુઓ તૃણના સમુદાયથી બનેલું દોરડું હાથીને પણ બાંધે છે.
મસલત બહાર પડવાથી કાર્ય ભાંગી પડે છે, તથા વખતે રાજાનો કોપ વગેરે પણ થાય છે. માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી. અંદરોઅંદર ચાડી કરવાથી રાજા આદિ અપમાન તથા વખતે દંડ વિગેરે પણ કરે. તથા સરખા ધંધાવાળા લોકોનું કુસંપમાં રહેવું નાશનું કારણ છે. કહ્યું છે કે એક પેટવાળા, બે ડોકવાળા અને જુદાં જુદાં ફળની ઇચ્છા કરનાર ભારંડ પક્ષીની જેમ કુસંપમાં રહેનારા લોકોનો નાશ થાય છે. જે લોકો એકબીજાનાં મર્મોનું રક્ષણ કરતાં નથી તે રાફડામાં રહેલા સર્પની જેમ મરણ પર્યંત દુઃખ પામે છે.
કાંઈ વિષાદ ઉત્પન્ન થાય તો ત્રાજવા સમાન રહેવું, પણ સ્વજન સંબંધી તથા પોતાની જ્ઞાતિના લોકો ઉપર ઉપકાર કરવાની અથવા લાંચ ખાવાની ઇચ્છાએ ન્યાયમાર્ગનું ઉલ્લંઘન ન કરવું પ્રબળ લોકોએ દુર્બળ લોકોને ઘણા દાણ, કર, રાજદંડ વિગેરેથી સતાવવા નહીં. તથા થોડો અપરાધ હોય તો એકદમ તેનો દંડ ન કરવો. દાણ, કર વિગેરેથી પીડાયેલા લોકો માંહોમાંહે પ્રીતિ ન હોવાથી સંપ મૂકી દે છે. સંપ ન હોય તો ઘણા બલિષ્ઠ લોકો પણ વગડામાંથી જુદા પડેલા સિંહની જેમ જ્યાં ત્યાં પરાભવ જ પામે છે.
માટે અંદરો-અંદર સંપ રાખવો એજ સારું છે. કેમકે માણસોનો સંપ સુખકારી છે, તેમાં પણ પોતપોતાનાં પક્ષમાં તો અવશ્ય સંપ હોવો જ જોઈએ. જીઓ ફોતરાથી પણ જુદા પડેલા