________________
૧૨૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ : પ્રથમ પ્રકાશ
તે નિત્ય જળાદિ ભાર ઘેર-ઘેર ઉપાડે છે. તે નગર ઊંચું હતું અને નદી ઘણી ઊંડાણમાં હતી. તેથી ઊંચી ભૂમિ ચઢવાની, રાત-દિવસ ભાર ઉપાડવાનો અને આકરી સુધા તથા પીઠ ઉપર ભાર સહવાનો. એવી એવી રીતે પાડાએ ઘણા કાળ સુધી મહાવેદના સહન કરી. એક દિવસે નવા બનાવેલા જિનમંદિરનો કોટ બંધાતો હતો તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા 'જિનપ્રતિમા આદિ જોઇ તે પાડાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે કોઈ પણ રીતે જિનમંદિર છોડીને જાય નહીં.
પછી પૂર્વભવના પુત્રોએ જ્ઞાની ગુરુના વચન ઉપરથી ભીસ્તી (પખાલી)ને દ્રવ્ય આપીને પાડાને છોડાવ્યો. અને તેણે પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય આપવા કબૂલ કર્યું હતું તે કરતાં હજારગણું દ્રવ્ય આપી પૂર્વભવના પોતાના પિતાને ઋણમાંથી મુક્ત કર્યો. પછી તે પાડો અનશન કરી સ્વર્ગે ગયો અને અનુક્રમે મુક્તિ પામ્યો. આ રીતે દેવદ્રવ્યાદિ આપતા વિલંબ કરવા ઉપર ઋષભદત્ત શ્રેષ્ઠીનું દૃષ્ટાંત કહ્યું. દેવદ્રવ્ય આદિ તરત જ આપવા અંગે.
આમ કબૂલ કરેલું દેવાદિ દ્રવ્ય ક્ષણમાત્ર પણ ઘરમાં ન રાખવું. વિવેકી પુરુષો બીજા કોઇનું દેવું હોય તો પણ વ્યવહાર સાચવવા માટે આપવાને વિલંબ નથી લગાડતા; તો પછી દેવાદિદ્રવ્ય આપવાને વિલંબ શી રીતે લગાડાય? તે કારણ માટે દેવ, જ્ઞાન, સાધારણ આદિ ખાતામાં, માલ, પહેરામણી વગેરેનું જેટલું દ્રવ્ય જે ખાતે આપવા કબૂલ કર્યું હોય તેટલું દ્રવ્ય તે ખાતાનું થયું. માટે તે શી રીતે ભોગવાય ? અથવા તે રકમથી ઉત્પન્ન થયેલું વ્યાજ આદિ પણ શી રીતે લેવાય ? કારણ કે, તેમ કરે તો ઉપર કહેલો દેવાદિ દ્રવ્યોપભોગનો દોષ માથે આવે.
માટે દેવાદિનું દ્રવ્ય તત્કાળ આપવાનું ન બની શકે તેણે પ્રથમથી જ પખવાડીયાની અથવા અઠવાડિયાની મુદત બાંધવી, અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પોતે જ આપી દેવું. મુદત વીતી જાય તો દેવાદિદ્રવ્યોપભોગનો દોષ લાગે. દેવદ્રવ્યાદિની ઉઘરાણી પણ તે કામ કરનાર લોકોએ પોતાના પૈસાની ઉઘરાણીની માફક તાબડતોબ અને બરાબર મન દઈ કરવી. તેમ ન કરે અને આળસ કરે તો વખતે દુર્દેવના યોગથી દુભિક્ષ, દેશનો નાશ, દારિદ્ર પ્રાપ્તિ ઇત્યાદિ થાય, તો પછી ગમે તેટલું કરે તો પણ ઉઘરાણી ન થાય અને તેથી મોટો દોષ લાગે. આ વિષયમાં એવું દૃષ્ટાંત છે કે :દેવદ્રવ્યના સંભાળનારને લાગતા દોષ અંગે.
મહેન્દ્ર નામના નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચોખા, ફળ, નિવેદ્ય, દીવો, તેલ, ભંડાર, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણી, તેનું નામું લખવું, સારી યતનાથી દેવદ્રવ્ય રાખવું, તેના જમા ખરચનો વિચાર કરવો, એટલા કામ કરવા માટે શ્રીસંઘે દરેક કામમાં ચાર ચાર માણસ રાખ્યા હતા. તે લોકો પોતપોતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પૈકીનો મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી