________________
પૂર્વે લંકાનગરીના રાજા પ્રતિવાસુદેવ રાવણે માલિ અને સુમાલિ નામના પોતાના સેવકોને કોઈક કારણસર કોઈક સ્થળે મોકલ્યા હતા. વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતાં તેમને વચમાં જ ભોજનનો અવસર થયો. વિમાનમાં બેઠેલા ફૂલમાળી નોકરને ચિંતા થઈ કે-‘આજે ઉતાવળમાં હું જિનપ્રતિમાના કરંડિયાને ઘેર જ ભૂલી ગયો છું. અને આ બંને પુણ્યવાનો જિનપૂજા કર્યા સિવાય ક્યાંયે પણ ભોજન કરતા નથી. જ્યારે તેઓ પૂજાના અવસરે પ્રતિમાનો કરંડિયો નહીં જુએ ત્યારે નક્કી મારા ઉપર કોપાયમાન થશે.' આ ચિંતાથી તેણે વિદ્યાબળથી પવિત્ર વાલુકા (વાળુ-રેતી)ની ભાવીજિનેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક નવી પ્રતિમા બનાવી. માલિ અને સુમાલિએ પણ તે પ્રતિમાની પૂજા કરીને ભોજન કર્યું. પછી જ્યારે તેઓ ફરીથી આકાશમાર્ગે ચાલવા લાગ્યા તે વખતે ફૂલમાલી નોકરે તે પ્રતિમાને નજીકમાં રહેલા કોઈ સરોવરમાં પધરાવી. પ્રતિમા દૈવીપ્રભાવથી સરોવરમાં અખંડિત જ રહી કાલક્રમે તે સરોવરનું પાણી ઘટી ગયું અને તે નાના ખાબોચિયા જેવું દેખાતું હતું.
આ બાજુ કાલાંતરે વિંગઉલ્લી (વિંગોલી-હિંગોલી) દેશમાં વિંગહ્લ નામનું નગર છે, ત્યાં શ્રીપાલ નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજા સર્વાંગે કોઢના વ્યાધિથી પીડાતો હતો. એક વખત શિકાર માટે તે બહાર ગયો હતો, ત્યાં તરસ લાગવાથી શ્રી અંતરિક્ષજીની પ્રતિમાવાળા તે ખાબોચિયા પાસે અનુક્રમે આવી પહોંચ્યો. ત્યાં પાણી પીધું અને હાથ મો ધોયા તેથી રાજાના હાથ-મોં નીરોગી અને કનક જેવી કાંતિવાળા થઈ ગયા. ત્યાંથી રાજા ઘેર ગયા પછી જોતાં આશ્ચર્ય પામવાથી રાણીએ પૂછ્યું કે-સ્વામી ! તમે આજે કોઈ સ્થળે સ્નાન વગેરે કર્યું છે ? રાજાએ સર્વ હકીકત કહી સંભળાવી. રાણીએ વિચાર કર્યોં કે ‘નક્કી પાણીમાં જ કોઈ દૈવી પ્રભાવ હોવો જોઇએ.’ આથી બીજે દિવસે રાજાને ત્યાં લઈ જઈને રાણીએ સર્વ અંગે સ્નાન કરાવ્યું તેથી રાજાનું શરીર નીરોગી અને નવું-સુંદર કાંતિવાળું થઈ ગયું. પછી રાણીએ બલિપૂજા વગેરે કરીને પ્રાર્થના કરી કે ‘અહીં જે કોઈ દેવ હોય તે પ્રગટ થાઓ' ત્યાંથી રાણી ઘેર આવ્યા પછી દેવે સ્વપ્નમાં રાણીને કહ્યું કે “અહીં ભાવી તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, અને તેના પ્રભાવથી જ રાજાનું શરીર નીરોગી થયું છે. આ પ્રતિમાને ગાડામાં મૂકીને અને ગાડાને સાત દિવસના જન્મેલા વાછરડાં જોડીને રાજાએ પોતે સારથી બનીને તેમાં બેસવું, અને પછી કાચા સુતરની બનાવેલી દોરીથી (લગામથી) વાછરડાઓને પોતાના નગર તરફ રાજાએ ચલાવવા. (પણ પાછું વાળીને જોવું નહીં, કેમકે) રાજા જ્યાં પાછું વાળીને જોશે ત્યાં જ પ્રતિમા સ્થિર થઈ જશે.’’ બીજે દિવસે રાજાએ ત્યાં જઈને ખાબોચિયામાંથી પ્રતિમા શોધી કાઢી અને દેવે કહ્યા પ્રમાણે ગાડામાં સ્થાપીને પોતાના સ્થાન તરફ ચાલવા લાગ્યો. કેટલેક દૂર ગયા પછી તેના મનમાં શંકા આવી કે-પ્રતિમા આવે છે કે નહીં ? એટલે પાછું વાળીને જોયું,
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ