________________
[૧૭] ઊર્ધ્વગામી
૨૯૩
બુદ્ધિશાળીઓના ટચે જાણવાથી થાય અધોગામી
એક જગ્યાએ આ શાસ્ત્રો-બાસ્ત્રો કશું જાણતા ના હોય અને જીવો બધા હોય તો એ બધા ધીમે ધીમે ઊર્ધ્વગમન જ થયા કરે છે. આ જાણવાથી ડખોડખલ કરીને અવતાર બગાડે છે.
આ જાણવાથી વિકલ્પો કરીને અબજો અવતાર બગાડે છે બધા. હવે જાણ્યા વગર રહેવું જ ના પડે. અહીં જન્મ્યા એટલે પેલો પેલાને વાત કરે, પેલો પેલાને વાત કરે, તે વાત કરી કરીને, માર ગૂંથણા કરી કરીને બધું ખલાસ કરી નાખ્યું.
આત્માનો સ્વભાવ ઊર્ધ્વગામી છે, પણ તે ક્યારે ? કોઈના ટચમાં ના આવતો હોય તો. આ બુદ્ધિશાળીઓના ‘ટચ’માં ના આવે તો ! આ જાનવરોના ટચમાં રહે તો ઊર્ધ્વગામી જ છે. આ બુદ્ધિથી બગડે છે એટલે અધોગતિમાં જાય છે.
અહંકાર-કષાયથી વધારે વજત, થાય અધોગામી
પ્રશ્નકર્તા ઃ પણ એમ કહેવાય છે ને કે આત્મા તો નિરંતર મોક્ષ ભણી જઈ રહ્યો છે ?
દાદાશ્રી : ચોક્કસ, તે આગળ જ જઈ રહ્યો છે, પણ વજનદાર પરમાણુ ભેગા કરે એટલે નીચે જાય. પોતાનો સ્વભાવ ઊર્ધ્વગામી છે અને આ પુદ્ગલ એને નીચે ખેંચે છે. અને આત્મા ઉપર ખેંચે છે, પણ આત્માનું બળ થાય તો ઉપર જાયને ! આ તો પુદ્ગલનું બળ પેસીને ખેંચે કે એ નીચે જ લઈ જાય છે.
પુદ્ગલનો સ્વભાવ અધોગામી છે. પણ પુદ્ગલનો સ્વભાવ શી રીતે અધોગામી વધારે થાય ? ત્યારે કહે, ‘શરીર જાડું હોય તેના આધારે નહીં કે શરીર વજનદાર હોય તેના આધારે નહીં, અહંકાર કેટલો મોટો છે ને કેટલો લાંબો-પહોળો છે, એના ઉપરથી છે. શરીરે આમ પાતળો હોય, પણ અહંકાર આખી દુનિયા જેવડો હોય અને શરીરે આમ મજબૂત આવો, અઢીસો કિલોનો હોય પણ અહંકાર એનો ના હોય તો એ ડૂબે નહીં. અહંકાર એટલે વજન, અહંકારનો અર્થ જ વજન.