________________
ધર્મબિંદુપ્રકરણ
આચાર્ય મહારાજે અનુજ્ઞા આપી અને હરિભદ્ર ભટ્ટ આ૦ જિનદત્તસૂરિના શિષ્ય બન્યા. (તેમણે આ૦ જિનભટ્ટ પાસે વિદ્યાધ્યયન કર્યું.) ગુરુમહારાજે તેમને આચાર્યપદ આપ્યું એટલે તેઓ આચાર્ય હરિભદ્રસૂરિ તરીકે વિખ્યાત થયા. તેઓ પોતાનાં ઉપકારી સાધ્વી યાકિનીમહત્તરાને પોતાની માતા તરીકે માનતા હતા અને પોતાને યાકિનીમહત્તાપુત્ર તરીકે ઓળખાવતા હતા.
તેમને હંસ અને પરમહંસ નામના બે ભાણેજ હતા. તેઓએ કુટુમ્બ ક્લેશથી વૈરાગ્ય પામી મામા પ્રત્યેના પ્રેમથી આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી, ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને હરિભદ્રસૂરિની મના હોવા છતાં બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવા માટે વેષપલટો કરી ભગવાં પહેરી બૌદ્ધ નગરમાં જઈ બૌદ્ધ મઠમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ કર્યો. ત્યાં બૌદ્ધાચાર્ય જૈનદર્શનનું ખંડન ભણાવતા ત્યારે આ બન્ને મુનિઓ એકેક પત્ર ઉપર તેની યુક્તિઓમાં રહેલાં દૂષણો અને જૈનદર્શનના શુદ્ધ હેતુઓની ટૂંકી નોંધ કરતા હતા. એક વાર એ પત્રો હવાથી ઊડયાં અને કોઈ વિદ્યાર્થીએ તેને ઉઠાવી બૌદ્ધાચાર્ય પાસે ધરી દીધાં. બૌદ્ધાચાર્યે તેને જોઈ મનમાં ગાંઠ વાળી કે-મારા મઠમાં કોઈ જૈન છે અને તે પણ કટ્ટર જૈન છે, તો તેને શોધી કાઢવો જોઇએ. તેણે એ માટે એક તરકીબ ગોઠવી. દરવાજાના પગથિયામાં જિનપ્રતિમા ગોઠવી અને વિદ્યાર્થીઓને હુકમ કર્યો કેદરેકે આ પ્રતિમા ઉપર પગ મૂકી ઉપર જવું. બૌદ્ધ વિદ્યાર્થીઓએ તે પ્રમાણે જ કર્યું. હંસ અને પરમહંસ આ તરકીબને સમજી ગયા, તેઓને ગુરુદેવની મનાઇનું રહસ્ય હવે સમજાયું. પણ થાય શું ? હવે બે જ માર્ગ હતા. કાંતો જિનંદ્ર ઉપર પગ મૂકી રૌરવ નરકમાં જવું અને કાંતો જૈનરૂપે જાહેર થઇ બૌદ્ધાચાર્યના હાથે મરવું. આ સિવાય ત્રીજો રસ્તો ન હતો. તેઓએ તરત જ નક્કી કર્યું કે, ગુરુદેવનો અવિનય કર્યો છે તેના ફળરૂપે મરવું બહેતર છે, કિન્તુ દેવાધિદેવની કંઈ પણ અશાતના કરીએ એ બનવાનું જ નથી. તેઓએ હાથમાં ખડી લઈ ચાલાકીથી તે પ્રતિમાને જનોઇનું નિશાન કરી બૌદ્ધ પ્રતિમા બનાવી, અને પછી તેની ઉપર પગ મૂક્યો. આ જોતાં જ બૌદ્ધોએ તેમને ઓળખી લીધા અને બૌદ્ધોમાં ક્રોધ ધમધમવા લાગ્યો. વળી, બધા વિદ્યાર્થીઓ રાત્રે સૂતા હતા ત્યારે બૌદ્ધાચાર્યે ઘડા ઉપરથી નીચે ગબડાવ્યા, વિદ્યાર્થીઓ એના અવાજથી ઓચિંતા જાગી, ઇષ્ટનું નામ બોલવા લાગ્યા. તેમાં હંસ અને પરમહંસ નમો અરિહંતાણું બોલ્યા. એટલે ત્યાં એવો અવાજ થયો કે, “ “ઠીક છે, આ બે જૈન દીસે છે.''
બન્ને ભાઈઓ એ વાત સમજી ગયા. તેઓએ ત્યાંથી ભાગી જવાનું નક્કી કર્યું, છત્રીઓ લઇ તેના આધારે ઉપલા માળેથી પડતું મૂક્યું, તેઓ નીચે આવ્યા કે તુરત દોડતા દોડતા શહેરની બહાર નીકળી ગયા, અને ચિત્તોડ તરફ ચાલવા લાગ્યા.