________________
:: : :: : :: : આચારપ્રધાન શ્રમણા જીવન
સંઘજમણમાં ૨૦૦૦ માણસ બે કલાકમાં જ જમી લે, પણ એ માટેની પૂર્વેની મહેનત તો કદાચ બે મહિનાની હોય.
ક્રિકેટમાં વિજય તો છેલ્લા બોલે એક-બે રન કરવાથી જ મળે, પણ એના માટેની મહેનત તો છેક પચાસ ઓવરની હોય.
છ'રી પાલિત સંઘમાં શિખરજીની યાત્રા કરવા જતા હોય, એ બધા શિખરજી તો છેક છેલ્લે બે-ત્રણ દિવસ જ આરાધના કરે..પણ એ માટેની મહેનત ૬ મહિના રોજેરોજ ચાલવાની, ઠંડી-ગરમી સહન કરવાની, એકાસણાદિ કરવાની હોય.
દીકરાને M.D. ડૉક્ટર બનાવવો હોય, તો મા-બાપ એની મહેનત એને પાંચેક વર્ષની ઉંમરથી સ્કુલમાં દાખલ કરે, ત્યારથી કરવા માંડે. એ માટે સંપત્તિ જમા કરવાનું કામ પણ ત્યારથી જ થવા માંડે.
કોઇપણ બાબતમાં સફળતા તો છેલ્લે જ હોય ને ? અને એનો સમય પણ લગભગ ઓછો જ હોય ને ? પણ એ માટેની મહેનત વર્ષોના વર્ષો સુધીની હોય..એવું પણ બને.
ભારતને આઝાદી મળી, ઇ.સ. ૧૯૪૭માં..પણ એની મહેનત શરૂ થઇ ગયેલી ઇ.સ. ૧૮૫૭માં...છેક ૯૦ વર્ષ પૂર્વે !
હવે પ્રસ્તુતમાં વિચારીએ...
શ્રમણજીવનનું એકમાત્ર લક્ષ્ય તો મોક્ષ જ છે. એની પ્રાપ્તિ કદાચ ઘણા બધા ભવો પછી પણ થાય, અરે ! આ જ ભવમાં જેને થવાની હોય, એણે પણ એ માટેની સખત મહેનત તો કરવી જ પડે.
એ મહેનત એટલે જ આચારોનું દ્રઢકોટિનું પાલન !
આપણે હવે પછીના પ્રકરણોમાં એ અનેકાનેક આચારોનું ટુંકમાં સ્વરૂપ જોશું, આ પ્રકરણમાં સામાન્યથી એ આચારોનું માત્ર એક લિસ્ટ જોઇ લઇએ.
૧) પાંચ મહાવ્રતો + પચ્ચીસ ભાવના. ૨) પાંચ સમિતિ + ત્રણગુપ્તિ = અષ્ટપ્રવચનમાતા. ૩) સત્ય, ક્ષમા વગેરે દસવિધ શ્રમણ ધર્મ. ૪) ઇચ્છા-મિચ્છાદિક દસવિધ ચક્રવાલ સામાચારી. ૫) વિર કલ્પ.
જૈન સાધુ જીવન.