________________
૫૫૪
સત્સંગનો યોગ ન હોય ત્યારે સત્સંગની ભાવના સાચા હૃદયથી કર્યા કરવાથી તેવો યોગ આવી પડે છે. મરણપર્યંત પરમકૃપાળુદેવનું શરણ ટકી રહે અને તે મહાપુરુષને આશરે દેહ છૂટે એવું આ ભવમાં કરવું છે એવો નિર્ણય કરી, તે ભાવના જાગ્રત રાખતા રહેવા જેવી છેજી.
કોને ખબર છે કે કાલે શું થશે ? માટે આજના દિવસમાં જેટલો ભક્તિ, ભજન, વિચારણાનો વખત મળે તેટલો લહાવો લઇ લેવો. જતા દિવસમાં કંઇક શાંતિનું કારણ વધે તેવી ભાવના ભાવવી.
‘પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહો.’' (૩૭) (બો-૩, પૃ.૪૯૮, આંક ૧૩૫)
વિરહકાળમાં પણ જો સત્સંગનો લક્ષ બળપૂર્વક જીવ રાખે તોપણ કલ્યાણ થાય છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે પરમકૃપાળુદેવે અમને વિરહમાં રાખીને પકવ્યા છે.
ત્રીજી યોગદૃષ્ટિમાં શુશ્રુષા એટલે ‘શ્રવણ સમીહા શોધ' (સત્ સાંભળવાની ઇચ્છા) નામનો ગુણ પ્રગટે છે, ત્યારથી શ્રવણનો જોગ ન હોય તોપણ તેની ઉત્કટ ઇચ્છાથી, સાંભળવાનો જોગ મળ્યે લાભ થાય, તેવો લાભ વગર શ્રવણે થાય છેજી.
હાલ તો તમે ઇચ્છો છો તે કરતાં, જણાવ્યા પ્રમાણે વર્તવામાં વિશેષ લાભ સમજાય છેજી. (બો-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૫)
હાલ તો જે કામ હાથમાં અભ્યાસનું લીધું છે, તે પૂર્ણ કરવા તરફ વૃત્તિ રાખી, બીજા વિચારો ગૌણ કરી, વખતની અનુકૂળતા અને સત્સંગના યોગે સર્વ પ્રશ્નોનો નિવેડો આવવા યોગ્ય છે એમ ગણી, તેની ભાવના રાખતા રહો. (બો-૩, પૃ.૪૮૦, આંક ૫૧૦)
D આ કાળમાં ભક્તિ, સંત્સંગ આદિ આત્મહિતના પ્રસંગો મળવા દુર્લભ છે. શારીરિક અનુકૂળતાઓ અને મોહનાં કારણો મળવાં મુશ્કેલ નથી; પણ ‘વૈરાગ્યના કામમાં વિઘ્નો ઘણાં' એમ કહેવત છે, તે આ કાળમાં તો પ્રત્યક્ષ જણાય છે. તેમ છતાં તેને માટે જેને રુચિ જાગી છે તેને વહેલેમોડે તે પ્રાપ્ત થઇ શકે છે. માટે તેવા યોગોની ભાવના વર્ધમાન કરતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૧૨૪, આંક ૧૨૪) સ્મરણ-માળાનો ક્રમ શરૂ ન કર્યો હોય તો પ્રમાદ તજી, કરતા રહેવા ભલામણ છેજી. ન બને એવું નથી. જીવ ધારે તે કરી શકે એમ છે, પણ ધારવું અઘરું થઇ પડયું છે; કારણ કે પુરુષાર્થ-વીર્ય મંદ હોય ત્યાં શું બને ? સત્સંગે જીવ બળવાન થાય છે પણ તેવો યોગ ન બને ત્યાં સુધી તેની ભાવના નિરંતર રાખવી ઘટે છેજી.
જેની જેવી ભાવના, તેવી સિદ્ધિ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે, માટે ભાવનામાં ભિખારી ન બનવું. ઉત્તમ ભાવના અખંડ રાખી, હાલના સંયોગોમાં બને તેટલો સત્પુરુષાર્થ કરતા રહેવાનો દૃઢ નિશ્ચય, દરેક મુમુક્ષુએ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૬૮, આંક ૩૭૦)
I ‘‘નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ?'' જ્ઞાનીપુરુષની સન્મુખ યોગ્યતા વિના શું મોઢું લઇને જવું ? એવો પણ જીવને વિચાર ક્યાં આવ્યો છે ? બીજા વિચારોમાંથી મનને દૂર કરી જે વિચારે વિશુદ્ધિ પ્રાપ્ત થાય, નિજ દોષ દેખવા જેટલી નિર્મળતા મળે અને દોષ ટાળવાની તત્પરતા વધે તે અર્થે અત્યંત દીનતાપૂર્વક સત્સંગ, સત્સેવાની નિરંતર ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩)