________________
૫૫૩
આ દેહની સ્થિતિ જેટલી છે, તેમાં એક સમયમાત્ર વધવાનો નથી. જે સમયે આ દેહ છોડવો છે, તે સમયને કોઇ દેવ કે દેવાધિદેવ પણ ઓળંગવા સમર્થ નથી. જેટલા શ્વાસોશ્વાસ બાંધ્યા છે, તે પૂરા થયે, આ દેહ તત્કાળ મૂકવો પડશે. પછી અજ્ઞાનદશાએ કરીને દેહાત્મબુદ્ધિ રાખે અને આખા જગતનો ભાર માથે રાખે તો તેનું તે જાણે.
સર્વજ્ઞ ભગવાને તેમના જ્ઞાનમાં જોયું છે કે આ આત્મા ત્રણે કાળ એકલો જ છે, એકલો આવ્યો છે અને એકલો જશે. સર્વ દ્રવ્યથી ન્યારો, સર્વ ક્ષેત્રથી ન્યારો, સર્વ કાળથી ન્યારો અને સર્વ અન્ય ભાવથી ન્યારો એવો પરમ જ્ઞાનજ્યોતિસ્વરૂપ, સ્વપરપ્રકાશક આત્મા જ્ઞાનીઓએ અનુભવજ્ઞાનથી જોયો છે, તે વાત ત્રિકાળ સત્ય છે, સત્ય છે, સત્ય છે. (બો-૩, પૃ.૪૮, આંક ૩૩)
I ‘‘સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે.'' (૫૩૯) આટલાં વચન વારંવાર વિચારી, અંતરમાં ઊંડા ઉતારી, તરી જવા યોગ્ય છેજી.
શબ્દો વડે જ્ઞાનીપુરુષો નિષ્કારણ કરુણાથી, જે પરમ પદાર્થ તરફ આ દુષ્ટપરિણામી જીવની દૃષ્ટિ ખેંચી સ્થિર કરાવવા ઇચ્છે છે, તે પદાર્થ મને-તમને-સર્વને અનન્યપણે ભાસો; તે જ પ્રીતિકર, નિરંતર સુખની ખાણ સમજાઓ; તેને માટે પ્રાણ જતાં પુરુષાર્થ કરવાનું ન ચૂકું, ભાન હોય ત્યાં સુધી સત્પુરુષે કરેલી આજ્ઞાને સર્વોપરી માની, જીવાદોરીની પેઠે તેમાં જ વૃત્તિ રાખીને જીવું, એને ભૂલી જીવવું ઝેર જેવું જાણું; તે જ પ્રાણપતિ, તે જ આધાર, તે જ બચાવનાર, તે જ જ્ઞાની, તે જ સમાધિમરણનું દાન ક૨ના૨ પ્રભુની ભક્તિ ન ભૂલું એવી દૃઢતા અખંડ હ્દયમાં ઊભરાતી સદા સર્વને રહો; સર્વ એ સર્વોત્તમ પદના પ્રેમી થાઓ, તેને માટે મરણિયા થાઓ, તેને માટે જ જીવના ં થાઓ, તેમાં જ અભેદભાવે વસનારા થાઓ, તુંહિ તુંહિ તેનો જ જાપ નિશદિન જપાયા કરો. ‘‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?'' (બો-૩, પૃ.૨૫૯, આંક ૨૫૩)
m ‘‘તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.'' એમ ક્ષમાપનાના પાઠમાં રોજ બોલીએ છીએ તે પ્રમાણે યથાશક્તિ વર્તાય તો જીવને સંતોષ વર્તે, આગળ વધે અને પરમપદને પણ પામે.
સંસારમાં તો ક્યાંય સુખ નથી. ‘‘એકાંત સુખી મુનિ વીતરાગ'' એ લક્ષ થોડોઘણો વર્તાશે તેમ તેમ વીતરાગતા તરફ વલણ થશે અને ક્રમે-ક્રમે પૂર્ણ વીતરાગપદમાં પણ વાસ થાય. એ જ ભાવના વારંવાર ભાવવા યોગ્ય છેજી.
તે રુચિ થવામાં, વિઘ્નરૂપ જે જે કારણો સમજાય, તે દૂર કરતા રહેવાની જરૂર છે, શીઘ્રપણે તેમ કરવાની જરૂર છેજી; નહીં તો આવો યોગ ‘‘રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.'' (૫૦૫) (બો-૩, પૃ.૫૧૨, આંક ૫૫૩)
સત્સંગની ભાવના નિરંતર રાખતા રહેવી ઘટે છેજી તથા જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવી, આ કલ્યાણનો રાજમાર્ગ છેજી.
કાળ દુષમ છે તો પુરુષાર્થ વિકટ કરી, તે તે વિઘ્નોને ઓળંગી, પરમકૃપાળુદેવને અવલંબને પરમપદની પ્રાપ્તિની ભાવના સદાય જાગ્રત રાખતા રહેવી ઘટે છેજી. (બો-૩, પૃ.૫૩૬, આંક ૫૮૬)