________________
(૧૦૮)
સમજાયું હશે; કારણ કે મને મિલકતમાંથી એક રાતી બદામ ન મળે તો પણ મને શોક થાય તેવું હતું નહીં; કારણ કે મિલકત મારી છે એવું મેં માન્યું જ નહોતું. તેથી મારો વિચાર ફેરવવાની ફરજ પાડે તેવું દુનિયામાં કોઈ નહોતું. માત્ર એક બળ હતું અને તે આપણાં માતુશ્રી. તેમને ખોટું ન લગાડવું એવું મારા અંતરમાં રહેતું; પણ તેમનો તો મારા તરફ એટલો બધો પ્રેમ હતો કે તેમની ઇચ્છા મારા ઉપર બળજોરીથી બેસાડી મને દુઃખી કરવા જેટલી કઠોરતા તેમનામાં ન હતી. તે તો એમ જ કહેતાં કે તું સુખી થાઉં એવું કર, માત્ર ભાઈના તરફ નજર રાખજે. તેમના મનમાંય એમ ખરું કે હું મોટો માણસ થઈ જવાનો, અને તેનો મોટો દીકરો ભિખારી જેવો રહેવાનો; પણ મેં તો ધનવાન થવાનું મનમાંથી માંડી વાળ્યું હતું અને ઘરમાં પૈસા હોય તો પૈસા ફેરવવાનું કામ મોટાભાઈને જ સોંપી મૂક્યું હતું તે તેમને ખબર ન હતી, પણ તે ધર્માત્મા માતુશ્રી પૈસા વધારે કમાવા ખાતર મારો વિચાર બદલવાની હઠ કરે તેમ હતું જ નહીં. તેથી મારે કશાથી ડરવાનું નથી, એમ હું જાણતો હતો. મરતી વખતે પણ તે માતાએ પૈસાની અગત્ય નથી સ્વીકારી. મને આશીર્વાદ આપતાં, મને ભગવાન પૈસાદાર કરે એવું નથી કહ્યું, અને મારે આ જિંદગીમાં જે જોઇએ છે તેની જ આશિષ તે પણ આપી ગઈ છે કે “ભગવાન તારું કલ્યાણ કરશે.' એ માતાની સેવાનું ફળ આપવાની ભગવાનની ઇચ્છા હોય તેમ મારા મનમાં તે આશિષ ફળે તેવા પ્રયત્ન કરવા જ વારંવાર વિચાર આવ્યા કરે છે. મનુષ્યભવ ફરી-ફરી મળી શકે એમ નથી. પરમાર્થ સાધવાની બાજી ઢોર-પશુનો અવતાર આવશે ત્યારે હાથમાં રહેવાની નથી. પૈસા ગમે તેટલા કમાયા હોઈએ છતાં તે પડી મૂકીને બધા જાય છે તેમ જવું પડશે, તો જે આત્માના કલ્યાણની બાબત હોય તે જ આ ભવમાં કમાઈ લેવી જોઈએ.
આમ આ જિંદગીનું આજ સુધીનું પરોપકાર તરીકે ગણાતું કામ, કંઈક વૈરાગ્ય અને ત્યાગના બળથી આ જીવ કરવા પ્રેરાયેલો; પણ પરોપકાર કે આત્મહિતનું કામ એ દાદરનાં પગથિયાં જેવું હોય છે તેની તે વખતે ખબર નહીં અને વીસ વરસ સુધી તે કામ સોસાયટીનું કામ) કરવાની ગોઠવણ તે કાળે બરાબર લાગેલી; પણ હવે દસ વર્ષના અનુભવ પછી તે ગોઠવણ મારે માટે ભૂલભરેલી મને જણાય છે. કોઈ માણસ ઘોડા ઉપર બેસીને સ્ટેશન આગળ પુલ સુધી આવે અને ઉપર દાદર ચઢીને રેલવેનો પુલ ઓળંગી ગાડીએ બેસવા ધારતો હોય તેનાથી જેમ ઘોડો લઈને પુલ ઉપર ન ચઢાય તેથી ઘોડેથી ઊતરવું પડે છે એટલે ઘોડાનું કામ પૂરું થતાં ઘોડો છોડી દેવો પડે છે, તેમ કંઈક ત્યાગની જરૂર પડતાં ત્યાગ કરીને આગળ વધવાનું આજ સુધી બન્યું છે. આમાં ઘોડો એ તો કુટુંબના કામની ચિંતા છે, તે ચિંતા સોસાયટીની ચિંતા શરૂ થતાં છોડી દીધી હતી; જોકે પૂરેપૂરી છૂટેલી નહીં, પણ તે વધી તો શકી નથી. જો વધી હોય તો ઘરમાં કેટલું ઉત્પન્ન આવે છે, કેટલી સાથે આવે છે, શું ખર્ચ થાય અને શું બચે છે વગેરે જોવાનો પણ કોઈક દિવસ વિચાર થાત, પણ તમારા વારંવાર કહેવા છતાં તેવી બાબતની તપાસ એક દિવસ પણ મેં કરી નથી અને હજી પણ પાડોશમાં રહેનાર ઘરની માલ-મિલકત કેટલી હશે તે જેટલું જાણતા હોય તેના કરતાં હું ઓછું જાણું છું અને તે જાણવાની દરકાર હજી પણ નથી રહેતી. ત્રીજી અને ચોથી વાત થોડી કહી ગયો. હવે બીજી વાત થોડી કહી લઉં. આ બબુના જન્મ પહેલાં તેનો મોટો ભાઈ વિઠ્ઠલ મરી ગયો, તેની વાત ઉપરથી તે સમજાશે. તેના ત્રણ વર્ષ જેટલા ટૂંકા જીવન દરમ્યાન મને ઉપર જણાવેલી વૈરાગ્યની ભાવનાઓએ સંસાર છોડી નાસી જવા જેવો પ્રયત્ન કરવા