SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ધનંજયના પરકીયા - વિવરણના અનુસંધાનમાં ‘અવલોક’-કાર ધનિક કહે છે કે, ‘કન્યાને અન્યસ્ત્રી (પરકીયા) એટલા માટે કહેવામાં આવે છે કે, પરણતાં પહેલાં તે પિતાના કે વડીલોના તાબામાં હોય છે. એ કન્યા, પિતાને વશ હોવાથી, મેળવી શકાતી નથી; છતાં તે સુલભ છે. પરિણામે, નાયક છાનોછપનો એને પ્રેમ કરે છે - એક તો એ કન્યા બીજાના કાબૂમાં હોય છે તેથી અને વળી નાયકને પોતાની જ્યેષ્ઠા(પત્ની)નો ડર પણ હોય છે તેથી. પહેલા પ્રકારનો પ્રેમ, ‘માલતીમાધવ’ નાટકમાં, માધવને માલતી માટે છે; બીજા પ્રકારનો પ્રેમ, ‘રત્નાવલી’ નાટિકામાં, ઉદયન રાજાને સાગરિકા પ્રત્યે છે. આ બન્ને પ્રકારના છૂપા પ્રેમમાં, એક સ્થળે પરોપરોધ કારણરૂપ છે તો બીજા સ્થળે સ્વકાન્તાભય કારણરૂપ છે. આવા કન્યા પ્રત્યેના પ્રેમનું આલેખન કવિ મુખ્ય રસમાં તથા ગૌણ રસમાં કરી શકે છે.૨૦૩ ૩. સામાન્યા નાયિકા (૭.૨૯) કલાઓમાં પ્રાવીણ્ય અને ધૂર્તતાથી સંપન્ન જે ગણિકા કૃત્રિમ પ્રેમ હોવાને કારણે, માત્ર ધનના લોભથી, ગુણવાન કે ગુણહીન નાયકની નાયિકા બની જાય છે તે સામાન્યા નાયિકા કહેવાય છે.૧૩૧ હેમચન્દ્રાચાર્યે ગણિકાની ‘ગણયતિ કલયતિ’ એટલે (કલાપ્રાગત્સ્ય અને ધૂર્તતાથી પુરુષોને જે) ‘આકર્ષે છે’ એવી અપરિચિત સમજૂતી - વ્યુત્પત્તિ આપી છે(૭.૨૯ની વૃત્તિ, ૪.૧૮). પણ ‘ગણિકા’ની વધારે સ્વાભાવિક અથવા યોગ્ય સમજૂતી એ છે કે એ ગણ અર્થાત્ સમૂહ અથવા લોકસમુદાયને સામાન્ય છે એટલે કે એ સમાન રીતે બધાની છે. કેમ કે, કોઈ પણ, એની પાસે જઈ શકે છે અને એનો પ્રેમ ખરીદી શકે છે. હેમચન્દ્રાચાર્યે સામાન્યાનો અર્થ સમજાવતાં કહ્યું છે કે, ‘સામાન્યા’ એટલે ગુણવાન કે ગુણહીન સૌની સાધારણ(સ્ત્રી). આ સાધારણ સ્ત્રીને પૈસાનો જ મોહ હોય છે - બાકી એનો પ્રેમ કૃત્રિમ હોય છે(૭.૨૯ની વૃત્તિ).૧૩ ધનંજયે પણ ગણિકા શબ્દના પ્રયોગ સાથે સાધારણ સ્ત્રીની આ જ શબ્દોમાં વ્યાખ્યા આપી છે(દ. રૂ. ૨.૨૧) અને એનો વ્યવહાર બીજાં શાસ્ત્રોમાં સવિસ્તર આપેલો છે એવું ટિપ્પણ કર્યું છે. પછી બીજી એક કારિકા(૨.૨૨)દ્વારા કેવા લોકો ગણિકા-ગમન કરે છે અને એમના કેવા હાલ થાય છે તે બતાવી, ધનંજયે કહ્યું છે કે, ‘પ્રહસન સિવાયનાં (પ્રકરણાદિ) રૂપકોમાં ગણિકાનું, નાયકમાં તે આસક્ત અનુરક્ત હોય તેવું આલેખન કરવું; પણ, નાયક કોઈ દિવ્ય પાત્ર હોય કે રાજા હોય તો તેવા રૂપકમાં ગણિકાનું વર્ણન ન કરવું'(દ. રૂ. ૨.૨૩). આ કે ૫૭૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy