________________
વફાદારીપૂર્વક અનુસરણ કરનારા પાછળના કવિ-નાટ્યકારોની કૃતિઓ પર તથા સર્જનપ્રવૃત્તિ પર એ ખૂબ જ પ્રકાશ પાડે છે. પ્રેમી તરીકે નાયકનું અનુકૂળ દક્ષિણ, શઠ કે ધૂર્ત તરીકે વર્ગીકરણ થયું છે. પણ નાયક પોતે ધીરોદાત્ત, ધીરોદ્ધત ધીરલલિત કે ધીરશાન્ત હોય છે એવું, નાયકની પ્રકૃતિને આધારે, નાયકનું સામાન્યરૂપે પણ વર્ગીકરણ થયું છે. એ જ પ્રમાણે નાયક સાથેના નાયિકાના સંબંધના આધારે, નાયિકા, નાયકની પત્ની(સ્વીયા) હોય કે અન્યની સ્ત્રી(પરકીયા) હોય કે સાધારણ સ્ત્રી (સામાન્યા) હોય - એમ ત્રણ પ્રકારે નાયિકાનું વર્ગીકરણ થયું છે. “સ્વીયા” નાયિકાના, મુગ્ધા, મધ્યા અને પ્રગલભા એવા - બીજા શબ્દોમાં બિનઅનુભવી, અંશતઃ અનુભવી કે પૂરેપૂરી અનુભવી નાયિકા એવા ત્રણ પેટા-ભેદો પાડવામાં આવ્યા છે. આમાંથી મુગ્ધા નાયિકા, કવિઓની ખૂબ માનીતી નાયિકા બની રહી છે અને એ પ્રકારની નાયિકાના સરળ હૃદયમાં પ્રથમ પ્રેમાકુરો જન્મે છે તેનું વર્ણન કવિઓએ ખૂબ લાલિત્ય, નજાકત અને ઉમંગ સાથે કર્યું છે. કવિ કાલિદાસે મુગ્ધા નાયિકાનું મનમોહક ચિત્ર આપતું પાર્વતીનું ચારિત્રચિત્રણ કરી સર્વકાળના સહૃદયોને મુગ્ધ કરી દીધા છે; પણ નવોઢા કે મુગ્ધા નાયિકાના મનોભાવોનું શ્રેષ્ઠ આલેખન અમરુકવિએ કર્યું છે... પાછળના ગ્રંથકારોએ નાયિકાના આ પ્રકારના ભેદોનો વિસ્તાર કર્યો છે અને નાયિકાની મનઃસ્થિતિના આધારે તેના ધીરા, અધીરા એવા પ્રકારો અને નાયકના પ્રેમ કે સ્નેહ પર અધિકારની દૃષ્ટિએ, નાયિકાનો ઊંચો, મધ્યમ કે નીચો જે દરજ્જો હોય તે પ્રમાણે, નાયિકાના બીજા પ્રકારો નિરૂપ્યા છે. પરકીયા નાયિકા બીજાની સ્ત્રી હોય છે. એટલે એને પ્રશિષ્ટ કાવ્યશાસ્ત્રમાં સૈદ્ધાન્તિક રીતે. દરજ્જો આપવામાં આવ્યો નથી; પણ બીજાં શાસ્ત્રોની દૃષ્ટિએ એ સર્વોત્તમ નાયિકા છે અને એના બે પ્રકાર છે : કન્યા અથવા પરોઢા (બીજાની વિવાહિત સ્ત્રી). પણ સામાન્ય નાયિકા, જેને ક્યારેક વખાણવામાં આવી છે અને ક્યારેક વખોડવામાં આવી છે, તે એક જ પ્રકારની હોય છે. આ રીતે નાયિકાના સોળ ભેદ થાય છે. આ દરેક નાયિકાના, નાયકના સંબંધમાં તેના સ્થાન કે દશાને આધારે, બીજા આઠ ભેદો છે; જેમ કે, સ્વાધીનપતિકા, પ્રોષિતભર્તૃકા, ખંડિતા. કલાન્તરિતા, વાસકસજ્જા, વિરોહત્કિંઠિત, વિપ્રલબ્ધા અને અભિસારિકા. આમાંથી “પ્રોષિતભર્તૃકા નાયિકાનું લાક્ષણિક દૃષ્ટાન્ત છે, “મેઘદૂત'ના યક્ષની પત્ની. જ્યારે, બાકીની સાત નાયિકાઓનાં મનોહર વર્ણનો, છૂટક શ્લોકોના સંગ્રહોમાં, વેરાયેલાં પડ્યાં છે.
૫૬૮