________________
આ રીતે, શ્રી હેમચન્દ્રાચાર્ય, ધ્વનિસિદ્ધાન્તની પૂર્વે પ્રચલિત ઉપનાગરિકા આદિ વૃત્તિઓ તથા વૈદર્ભ આદિ ત્રણ રીતિઓ સ્વતંત્ર કાવ્યતત્ત્વો હોવા વિશેના વિવાદનું સ્પષ્ટ નિરાકરણ કરે છે. જો કે, વિવેચકનાત્મક દૃષ્ટિએ જોઈએ તો
શ્રી હેમચન્દ્રાચાર્યે, આ વિવાદના સંદર્ભમાં મમ્મટના કાવ્યપ્રકાશ”ના નવમાં ઉલ્લાસની બે કારિકાઓ(૯.૮૦-૮૧) ઉદ્ધત કરી છે તે દર્શાવે છે કે, મમ્મટે, અગાઉ આ વિવાદનું, ધ્વનિવાદી દૃષ્ટિબિંદુથી, નિરાકરણ કર્યું હતું અને તેમાંથી આચાર્યશ્રીને જરૂરી પ્રેરણા તથા માહિતીની મદદ મળી છે. વસ્તુતઃ મમ્મટે જ ધ્વનિવાદી આચાર્યોના વિવિધ મહત્ત્વપૂર્ણ વિચારોને સુગ્રથિત સૂત્રોમાં નિબદ્ધ કરીને, સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનાં ગુણ, દોષ, લક્ષણ, વૃત્તિ, રીતિ વગેરે વિવિધ તત્ત્વોનો, રસ અને ધ્વનિના સર્વોપરિ મહત્ત્વના કાવ્યસિદ્ધાન્ત સાથે. અસરકારક સંબંધ જોડી આપ્યો છે. જો કે, મમ્મટ વૃત્તિઓ તથા રીતિઓનો વિષય “કાવ્યપ્રકાશ'ના નવમાં ઉલ્લાસમાં, શબ્દાલંકારના સંદર્ભમાં ચર્ચે છે; જયારે શ્રી હેમચન્દ્રાચાર્ય વૃત્તિ અને રીતિની ચર્ચા, કાવ્યાનુશાસનના પાંચમા અધ્યાયમાં શબ્દાલંકાર સાથે નથી કરતા પણ અહીં, ગુણાધ્યાયમાં કરે છે એ નોંધવું જોઈએ. આથી સ્પષ્ટ થાય છે કે, શ્રી હેમચન્દ્રાચાર્ય, ત્રણ વૃત્તિઓને મમ્મટની જેમ, અનુપ્રાસજાતિ નથી ગણતા પણ માત્ર વર્ણસંઘટનાના ત્રણ પ્રકારો જ માને છે. આનંદવર્ધને ધ્વન્યાલોક(૩.૪૬-૪૭)માં કહ્યું છે કે, “પૂર્વાચાર્યોને ધ્વનિરૂપી કાવ્યાત્મા બરાબર ફર્યો ન હતો તેથી તેની વ્યાખ્યા કરવા તેઓ અશક્ત હતા; એ સંજોગોમાં જ એમણે રીતિઓ પ્રચલિત કરી હતી. પણ હવે ધ્વનિરૂપી કાવ્યાત્મા સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યો છે એટલે હવે રીતિના સ્વરૂપ કે લક્ષણની ચર્ચા જ અપ્રસ્તુત છે. ઉપરાંત, ધ્વનિકાવ્યનું સ્વરૂપ સમજાવતાં જ કેટલીક ઉપનાગરિકા વગેરે શબ્દાશ્રિત તથા બીજી કૌશિકી વગેરે અર્વાશ્રિત વૃત્તિઓ પણ રીતિની માફક સ્પષ્ટ સમજાઈ જાય છે.” આ અંગે અભિનવગુપ્તનો સ્પષ્ટ અભિપ્રાય પણ એ જ છે કે વૃત્તિઓ તથા રીતિઓ રસપર્યવસાયી છે, તેમનું જુદું મહત્ત્વ નથી.
ભોજરાજ તથા જગન્નાથના “વૃત્તિ” તથા “રીતિ' નિરૂપણની નોંધ લીધા પછી, ડૉ. વિ. રાઘવન નિરીક્ષણ રજૂ કરે છે કે, “સભાગ્યે પાછળના ગ્રંથોમાં વૃત્તિઓ દેખા દેતી નથી અને ઉપનાગરિકા વગેરે જૂની વૃત્તિઓ સુધ્ધાં ભુલાઈ જાય છે. એટલે વૃત્તિઓનો ઉલ્લેખ કરનાર છેલ્લા ગ્રંથકાર શ્રી હેમચન્દ્રાચાર્ય છે. એમના પછી થયેલા ગ્રંથકારો રસના વ્યંજક વર્ષો-શબ્દો માટે વપરાતાં વૃત્તિવાચક ઉપનાગરિકા આદિ નામોને તદન ભૂલી જ ગયા છે.”
૪૯૫