________________
કરી છે. મેઘદૂતના શ્લોક(ઉદા. ૧પ૯)માં નદીરૂપી(અચેતન) નાયિકાની, પોતાના પ્રિયતમ મેઘથી, વિરહવ્યથા વર્ણવીને કવિ વિપ્રલંભશૃંગાર(રસ)નું ચમત્કારપ્રદ આલેખન કરે છે. પણ આ બન્ને શ્લોકોમાં નિરિન્દ્રિય(અચેતન) પદાર્થો પર રસનું આરોપણ કરેલું હોવાથી બને શ્લોકો રસાભાસના દાખલા કરે છે. એકમાં સંભોગાભાસ છે, બીજામાં વિપ્રલંભાભાસ.
હવે, ગ્રંથકાર નિરિન્દ્રિય(અચેતન) વસ્તુ પર (વ્યભિચારી)ભાવનું આરોપણ કરવાથી થતા ભાવાભાસનું ઉદાહરણ રજૂ કરે છે. ગુરુમમરજનાના: એ
શ્લોક(ઉદા. ૧૬૦)માં (ગર્ભના ભારથી ધીમી ગતિએ ચાલતી સ્ત્રીઓની ઢબે) પુષ્કળ પાણીના ભારથી લથડતી ગતિ ધરાવતાં વાદળો પોતાના પર્વતરૂપી - પ્રિયતમના ખોળામાં સૂએ છે એવો ભાવ વ્યક્ત થયો છે. આમ, અહીં અચેતન(નિરિન્દ્રિય) વાદળો(મેઘ પંક્તિઓ) પર (વ્યભિચારી) ભાવનું આરોપણ થયું છે. તેથી આ શ્લોક ભાવાભાસનું દૃષ્ટાંત બની રહે છે.
નિરિન્દ્રિય પદાર્થોના રસાભાસ અને ભાવાભાસનાં ત્રણ શ્લોકો વડે ઉદાહરણ આપ્યા બાદ, હવે, ગ્રંથકાર, સૂત્રમાં કહેલા તિર્યગાદિ(પશુ-પંખી)ના રસાભાસ અને ભાવાભાસનાં પાંચ ઉદાહરણો (૧૬૧-૧૬૫) આપે છે.
પ્રથમ, “કુમારસંભવમાંથી લીધેલા જાણીતા શ્લોકો(૩.૩૬, ૩.૩૭) વડે, ભ્રમર-ભ્રમરી, મૃગ-મૃગી, ગજ-કરેણુ તથા ચક્રવાક-ચક્રવાકીનાં જોડાં (તિર્યગાદિ) પર સંભોગશૃંગાર(રસ)નો આરોપ થવાથી થતા શૃંગારરસાભાસનો ખ્યાલ આપવામાં આવ્યો છે. પછી, બે શ્લોકો (ઉદા. ૧૬૩-૧૬૪) વડે, ચક્રવાક પક્ષીની તથા હાથીની દયાજનક વિરહાવસ્થા વર્ણવવાથી થતા વિપ્રલંભાભાસ(રસાભાસ)ની સમજૂતી આપવામાં આવી છે અને છેલ્લે, એક શ્લોક(ઉદા. ૧૬૫) વડે, મૃગીઓ(તિર્યગાદિ-પશુ)ને બ્રીડા કે લજ્જા એ (વ્યભિચારી)ભાવ અનુભવતી વર્ણવવાથી થતા ભાવાભાસનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. સૂત્ર(૨.૫૪)માં “આદિ'(વગેરે) શબ્દ આવે છે. એટલે, ગ્રંથકાર ‘કુમારસંભવ'(૮.૬૩)ના શ્લોક(૧૬૬) વડે, રાત્રિ અને ચંદ્રમા પર નાયક-નાયિકાનો પ્રણયવ્યવહાર આરોપવાથી થતા (સંભોગ) રસાભાસનો દાખલો આપે છે, અને પછી, એક બીજા શ્લોક (ઉદા. ૧૬૭) વડે, સુંદર સ્ત્રીને જોઈને લજ્જા(બ્રીડા)નો વ્યભિચારી ભાવ અનુભવતા ચંદ્રનું વર્ણન કરવાથી થતા ભાવાભાસનો દાખલો રજૂ કરે છે. આમ, અચેતન પદાર્થો તથા પશુપંખી પર રસ, ભાવના આરોપણથી
૩૪૯