________________
છે જે અસ્તિત્વમાં હોય અને છતાં ન ઉત્પાદિત હોય કે ન જાણી શકાતી હોય? એનો ઉત્તર એ છે કે રસ જેવી એવી કોઈ ચીજ નથી જે ન ઉત્પાદિત હોય(કાર્ય) કે ન જાણી શકાતી હોય (જ્ઞાપ્ય). એટલે, એ સાચું છે કે રસાનુભવમાં જે બને છે તે જગતમાં બીજે ક્યાંય જોવા મળતું નથી; અને એ જ તો બતાવે છે કે રસાનુભવનું સ્વરૂપ લોકોત્તર કે અલૌકિક છે. આ રસનું દૂષણ નથી; પણ ભૂષણ છે.
અહીં, મમ્મટ ઉમેરે છે કે “રસાનુભવમાં ચર્વણાની નિષ્પત્તિ થાય છે તેથી રસની નિષ્પત્તિ થાય છે એમ ઉપચારથી કહેવાય છે. એથી રસને કાર્ય કહેવું હોય તો કહો. લોકમાં પ્રસિદ્ધ એવાં પ્રત્યક્ષાદિ જ્ઞાનથી, ચક્ષુ વગેરે પ્રમાણોથી સ્વતંત્ર એવા મિત યોગીના જ્ઞાનથી તથા બીજા વિષયને જેમાં સ્પર્શ પણ ન હોય અને જે માત્ર પોતાના સ્વરૂપમાં જ સમાપ્ત થતું હોય એવા અમિત યોગીના જ્ઞાનથી - આ ત્રણેય પ્રકારના જ્ઞાનથી વિલક્ષણ એવા લોકોત્તર(અલૌકિક) સ્વસંવેદનનો, રસ, વિષય બને છે. એટલા માટે એ રસને જ્ઞાપ્ય અર્થાત્ જ્ઞાનનો વિષય કહેવો હોય તો પણ કહો. રસ, નિર્વિકલ્પ જ્ઞાનનો વિષય નથી; કેમ કે, રસાનુભવમાં વિભાવાદિને પરામર્શ પ્રધાનપણે હોય છે. વળી, રસ સવિકલ્પક જ્ઞાનનો વિષય પણ નથી; કારણ, રસ ચર્વણાનો વિષય બને છે; અલૌકિક આનંદમય હોય છે; અને તે સ્વસંવેદનસિદ્ધ હોય છે; એટલે કે દરેક ભાવકને પોતાને રસનો અનુભવ થાય છે. આ રીતે, રસ સવિકલ્પક નથી તેમ નિર્વિકલ્પક નથી અને તેથી બને છે - સવિકલ્પક તેમ જ નિર્વિકલ્પક-એવું ફલિત થાય છે જે, પહેલાંની એટલે કે રસ કાર્ય નથી અને જ્ઞાપ્ય નથી એ વિલક્ષણતાની માફક, રસની અલૌકિકતા કે લોકોત્તરતાને જ બતાવે છે; નહિ કે વિરોધને. આવો મત શ્રીમદ્ આચાર્ય અભિનવગુપ્તપાદનો છે.” (કા. પ્ર. ૪.૪૩, વૃત્તિ.) વિભાવાદિ ભેગા મળીને રસભંજક બને છે
હવે, વૃત્તિમાં, ગ્રંથકાર વિભાવાદિ વિશે એક અગત્યની સ્પષ્ટતા કરે છે. આપણે સમજી લેવું ઘટે કે ભરતમુનિના રસસૂત્ર - ‘વિભાવાનુભાવવ્યભિચારિસંયોગાદ્રસનિષ્પત્તિઃ'-માં વિભાવો, અનુભાવો અને વ્યભિચારીના સંયોગથી સરસનિષ્પત્તિ થાય છે એમ કહ્યું છે અને શ્રી હેમચન્દ્રાચાર્યે તેમ જ મમ્મટે પણ “વિભાવાદિથી અભિવ્યક્ત થતો સ્થાયી ભાવ તે રસ” એમ કહ્યું છે. આનો અર્થ એ છે કે માત્ર વિભાવ કે માત્ર અનુભાવ કે માત્ર વ્યભિચારી ભાવથી રસની અભિવ્યક્તિ સધાતી નથી; પણ એ ત્રણેય ભેગા થાય છે ત્યાં જ રસાભિવ્યક્તિ સધાય છે. આ વાત પર ભાર મૂકવા માટે જ ગ્રંથકાર કહે છે કે -
૨૭૦.