________________
રસાસ્વાદ
કાવ્યાનુશાસનના પ્રથમ અધ્યાયમાં “રસ'નો કાવ્યાત્મા તરીકે પરિચય કરાવ્યા પછી, હવે, એ જ ગ્રંથના બીજા અધ્યાયમાં, રસને સાહિત્યશાસ્ત્રનો સર્વોપરિ સિદ્ધાંત ગણવાની પ્રાચીન ભારતીય પરંપરાને અનુસરીને, શ્રીહેમચન્દ્રાચાર્ય, રસસિદ્ધાંતની સૈદ્ધાંતિક તથા કાવ્યકૃતિલક્ષી, વ્યાવહારિક બાજુઓની સંપૂર્ણ ચર્ચા હાથ ધરે છે. આ દૃષ્ટિએ, ગ્રંથના આ બીજા અધ્યાયને ‘રસાધ્યાય” નામ આપવું સર્વથા ઉચિત છે. રસ-સિદ્ધાંતનું આરંભબિંદુ
ભારતીય સૌંદર્યમીમાંસામાં રસ વિશેની સૈદ્ધાંતિક વિચારણાનું આરંભબિંદુ, ભરતમુનિપ્રણીત “નાટયશાસ્ત્ર' ગ્રંથનું પ્રસિદ્ધ રસસૂત્ર છે :
विभावानुभाव्यभिचारिसंयोगाद्रसनिष्पत्तिः । આ સૂત્ર વાંચતાં, પ્રથમ નજરે જ, જણાય છે કે રસ વિભાવો, અનુભાવો અને સંચારિભાવો અથવા વ્યભિચારિભાવોના સમુચિત સંયોજનના પરિણામે, આસ્વાદનો વિષય બને છે. રસસૂત્રના ચાવીરૂપ શબ્દોનું વિશ્લેષણ
રસસૂત્રના ચાવીરૂપ શબ્દો છે ‘વિભાવ', “અનુભવ”, “વ્યભિચારિભાવ', સંયોગ', ‘રસ' અને “નિષ્પત્તિ'. રસની વિભાવનાનો પૂરેપૂરો ખ્યાલ મેળવવા માટે, આપણે, આ બધા શબ્દો કે પારિભાષિક સંજ્ઞાઓનો અર્થ બરાબર સમજી લેવો જોઈએ.
‘વિભાવ' સંજ્ઞાથી, કોઈ પણ ભાવ કે ઊર્મિને જગાડવા માટે આવશ્યક બે બાહ્ય બાબતોનો નિર્દેશ થાય છે. આ કારણથી જ વિભાવ” બે પ્રકારનો હોય છે ૧. આલંબનવિભાવ ૨. ઉદીપનવિભાવ.
૨૬૧